અમદાવાદના સોલા વિસ્તારમાં શાંતિ પેલેસ સોસાયટીમાં શુક્રવારની સવારે ગળું કાપીને વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યાનો કેસ નોંધાયો હતો. મૃતક દંપતીની ઓળખ અશોકભાઈ પટેલ (71) અને જ્યોત્સનાબેન પટેલ તરીકે થઈ હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા સાથે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ સોલા વિસ્તારમાં શાંતિ પેલેસ બંગ્લોઝમાં સિનિયર સિટિઝન દંપતી અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હતી. અશોકભાઈનો મૃતદેહ બેડરૂમમાંથી અને જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડી પરથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ઘરઘાટી અથવા જાણભેદુ શખ્સોએ હત્યા કરી હોવાનું આશંકા સેવાઇ રહી છે. મૃતક અશોકભાઈ પટેલ વર્ષો અગાઉ પ્લાયવુડના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ વૃદ્ધ પાટીદાર દંપતિ નિવૃત જીવન ગાળતા હતા. તેમના પરિવારજનોમાં પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. પુત્ર હેતાર્થ પટેલ ઈલેક્ટ્રીક ઈજનેર છે. અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી તે દુબઈ શિફ્ટ થયેલો છે.