ભારતમાં તાજેતરના ખેડૂત આંદોલન દરમિયાન તેની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરનાર વિવાદાસ્પદ કંગના રનૌતની કારને શુક્રવારે પંજાબમાં નારાજ ખેડૂતોએ ઘેરી લીધી હતી.
કંગના આવા નિવેદનથી નારાજ ખેડૂતોએ ચંદીગઢ ઉના નેશનલ હાઈવે પર કીરતપુર સાહેબ ખાતે કંગનાની ગાડીનો ઘેરાવ કર્યો હતો. લોકોના ગુસ્સાને જોઈને કંગનાએ ગાડીની બહાર નિકળીને માફી માગી લીધી હોવાનું કહેવાય છે. જોકે, ત્યારબાદ કંગનાએ સોશિયલ મીડિયા સ્પષ્ટતા કરી હતી કે, મને કોઈએ માફી માગવા માટે કહ્યું નથી અને હું શા માટે માફી માગુ? હું ખેડૂત વિરોધી નથી, હા લોકો થોડા નારાજ હતા અને તેમને મારા માટે ફરિયાદો હતી પણ મેં તેમને સાંભળ્યા બાદ મારી વાત પણ સમજાવી હતી.
કંગનાએ વધુમાં કહ્યું હતું કે, મહિલાઓ સાથે મેં જે વાત કરી હતી તે બીજા વિષય પર હતી. ત્યાં બધા મીડિયાના કેમેરા પણ હતા. આવી અફવાઓ ફેલાવશો નહીં. હું હંમેશા ખેડૂતોના સમર્થનમાં છું અને એટલા માટે જ મેં કૃષિ કાયદાની તરફેણ કરી હતી.