રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા (ફાઇલ ફોટો) (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ભારતની મૂલ્યની દ્રષ્ટીએ સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીને સુકાન સોંપવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મુકેશ અંબાણીએ તેમના ટેલિકોમ સાહસ રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું છે અને તેમના પુત્ર આકાશને જિયોના ચેરમેન બનાવવામાં આવ્યા આવ્યા છે.

મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીને પણ ઈશા અંબાણી રિલાયન્સના રિટેલ બિઝનેસના ચેરમેન બને તેવી શક્યતા છે.સમગ્ર એશિયાના સૌથી ધનાઢ્ય પરિવાર અંબાણી કુટુંબમાં લીડરશિપને લગતા મોટા ફેરફાર થઈ રહ્યા છે. ઈશા અંબાણીને પ્રમોટ કરીને રિલાયન્સ રિટેલના ચેરમેનબનાવવાની સત્તાવાર જાહેરાત ટૂંકસમયમાં જ થવાની શક્યતા છે. હાલમાં ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.ના ડાયરેક્ટર છે.

રિલાયન્સ ગ્રૂપે હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આકાશ અને ઈશા અંબાણીએ મેટા પ્લેટફોર્મ સાથે વાતચીત કરીને રિલાયન્સ જિયોમાં ઈન્વેસ્ટમેન્ટની વ્યવસ્થા કરી હતી. 30 વર્ષના ઈશા અંબાણીએ યેલ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. આકાશ અને ઈશા જોડિયા ભાઈબહેન છે. તેમના નાના ભાઈ અનંત અંબાણી 27 વર્ષના છે.રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો એ 217 બિલિયન ડોલરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપનીઓ છે અને મુકેશ અંબાણી તેના ચેરમેન છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને અબજોપતિ મુકેશ અંબાણીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કંપનીની લીડરશીપમાં ફેરફાર કરવામાં આવશે. મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવા નેતૃત્વને આગળ આવવું પડશે.

આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી 2014માં ઈકોનોમિક્સની ડિગ્રી મેળવી હતી અને ત્યાર પછી તેઓ ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. 2019માં તેમણે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમના બહેન ઈશા અંબાણીએ સ્ટેન્ફર્ડ અને યેલ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે.