ભારતના ઉત્તર પશ્ચિમ દરિયા કિનારા વિસ્તારને વધુ સુરક્ષિત અને વધુ મજબૂત બનાવવા માટે તાજેતરમાં પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) MK III સ્ક્વૉડ્રન તૈનાત કરવામાં આવી છે. ALH MK III હેલિકોપ્ટરોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેક (HAL) દ્વારા સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર, શક્તિ એન્જિન, સંપૂર્ણ ગ્લાસ કોકપીટ, ઉચ્ચ તીવ્રતાની સર્ચ લાઇટ, આધુનિક કમ્યુનિકેશન સીસ્ટમ, ઓટોમેટિક ઓળખ સિસ્ટમ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ હોમર જેવી અન્ય સુવિધાઓથી સજ્જ છે. આ સુવિધાઓ તેમને સમુદ્રી જાસૂસી હાથ ધરવા તેમજ દિવસ અને રાતે જહાજોમાંથી કામ કરતી વખતે પણ વિસ્તૃત રેન્જમાં સર્ચ અને રેસ્ક્યૂ કાર્ય હાથ ધરવા માટે સક્ષમ બનાવે છે. ગંભીર રીતે બીમાર દર્દીઓના સ્થાનાંતરણની સુવિધા માટે આ એરક્રાફ્ટમાં ભારે મશીનગન સાથેના આક્રમક પ્લેટફોર્મ પરથી તબીબી સઘન સંભાળ યુનિટ ધરાવતા પ્લેટફોર્મ પર પોતાની ભૂમિકા બદલવાની ક્ષમતા છે. આજદિન સુધીમાં, 13 ALH MK-III એરક્રાફ્ટને તબક્કાવાર રીતે ભારતીય તટરક્ષક દળમાં સમાવવામાં આવ્યા છે અને તેમાંથી ચાર એરક્રાફ્ટને પોરબંદર ખાતે રાખવામાં આવ્યા છે. તેને સેવામાં સમાવવામાં આવ્યા ત્યારથી આજદિન સુધીમાં, આ સ્ક્વોડ્રને કુલ 1200 કલાક કરતાં વધારે ઉડાન ભરી છે. દીવના દરિયા કિનારે પ્રથમ રાત્રિ સર્ચ એન્ડ રેસ્ક્યૂ મિશન સહિત સંખ્યાબંધ ઓપરેશનલ મિશનો હાથ ધર્યા છે. પોરબંદર ખાતે ALH MK-III સ્ક્વોડ્રનની નિયુક્તિથી ગુજરાત પ્રદેશના સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય તટરક્ષક દળની ક્ષમતાઓને મોટો વેગ પ્રાપ્ત થશે.