ફાઇલ તસવીર (Photo by STRDEL/AFP via Getty Images)

બોલિવૂડ સ્ટાર આમિર ખાનનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સેલ્ફ ક્વૉરન્ટીન છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે, એમ 55 વર્ષીય અભિનેતાના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે આમિર ખાનની તબિયત સારી છે. છેલ્લા થોડા દિવસોમાં આમિરના સંપર્કમાં આવેલા તમામ લોકોએ ટેસ્ટ કરાવી લેવા જોઇએ. આમિર ખાનનાં નિકટનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એક્ટરે પોતાના સ્ટાફને આરામ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ટેસ્ટ તથા જરૂરી સાવચેતી રાખવાનું પણ કહ્યું છે. આમિર ખાન પૂરી રીતે સાજો થઈ ગયા બાદ જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ ફરી શરૂ કરશે.

બીજી તરફથી મંગળવારે એક્ટર સંજય દત્તે કોરોનાની રસી લીધી હતી. સંજય દત્તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરીને આ વિશેની જાણકારી આપી હતી. 61 વર્ષીય સંજય દત્તે મુંબઈના BKC વેક્સિન સેન્ટરમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. રસી લેતી તસવીર શેર કરીને સંજય દત્તે લખ્યું, “BKC વેક્સીન સેન્ટર ખાતે કોવિડ-19ની રસીનો પહેલો ડોઝ લીધો છે. હું ડૉક્ટર ધેરે અને તેમની આખી ટીમને તેમની કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવું છું. આ તમામ અને તેમના પરિશ્રમ પ્રત્યે મને પ્રેમ અને માન છે. જય હિંદ.”

ઓગસ્ટ 2020માં સંજય દત્તને કેન્સરનું નિદાન થયું હતું અને તે પછી કામમાંથી થોડો સમય બ્રેક લીધો હતો અને સારવાર કરાવી હતી. ઓક્ટોબર 2020માં સંજય દત્તે કેન્સર સામેનો જંગ જીતી હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે, સંજય દત્ત પહેલા ધર્મેન્દ્ર, સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, હેમા માલિની, સતીશ શાહ, શિલ્પા શિરોડકર, જોની લીવર, મેઘના નાયડૂ, અર્ચના પૂરણ સિંહ, નીના ગુપ્તા, રાકેશ રોશન, કમલ હાસન, જિતેન્દ્ર, પરેશ રાવલ વગેરે જેવા સેલિબ્રિટીઝે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે.