(ANI Photo)

સંજય દત્તની કારકિર્દી અને તેની ઈમેજને નવું સ્વરૂપ આપનાર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ સીરિઝની ત્રીજી સિક્વલ ફિલ્મની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. અગાઉ સિક્વલની ત્રીજી ફિલ્મ માટે ભરપૂર પ્રયાસ ચાલી રહ્યા હોવાનું સંજય દત્ત જણાવી ચૂક્યા છે. જોકે, અરશદ વારસી એટલે કે મુન્નાભાઈના સર્કિટે હવે ત્રીજી ફિલ્મ બનવાની આશા મૂકી દીધી છે. મુન્નાભાઈની સફળતાના કારણે સંજય દત્ત અને અરશદ વારસી બંનેને કરિયરમાં ખૂબ લાભ થયો હતો. મુન્નાભાઈ અંગે વાત કરતાં અરશદ વારસીએ કહ્યું હતું કે, મુન્નાભાઈ એમબીબીએસના કારણે કરિયરને નવજીવન મળ્યું હતું. આ પહેલા ત્રણ-ચાર વર્ષ માટે તેની પાસે કોઈ ફિલ્મ ન હતી. લોકો ભૂલવા માંડ્યા હતા. મુન્નાભાઈ 3ની શક્યતા અંગે વાત કરતાં અરશદે જણાવ્યું હતું કે, તે 16 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ત્રીજો પાર્ટ આવે તેવી શક્યતા લાગતી નથી. અમે દર્શકો માટે ઘણું બધું આપીએ છીએ, પરંતુ હવે ખૂબ લંબાઈ ગયું છે.

સંજય દત્તે અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુન્નાભાઈ 3 બનવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકુમાર હિરાણી પણ ફિલ્મ બનાવવા માગે છે અને બહુ ઝડપથી તે પૂરી થવાની આશા છે.300 કરોડના ખર્ચે ફિલ્મ બનાવવાનું આયોજન હોવાની ચર્ચાઓ થઈ હતી. જો કે ફિલ્મ બનશે કે નહીં તેનો ચોક્કસ જવાબ રાજકુમાર હિરાણી પાસે જ હોવાનું કહીને સંજય દત્ત હસી પડ્યા હતા.