ભારતીય સંસદમાં ગત સપ્તાહે બજેટ સત્રની સમાપ્તી થઇ છે. અદાણી મુદ્દે વિરોધ પક્ષો અને સત્તા પક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બન્ને ગૃહોની કામગીરી સત્રના અંતિમ દિને પણ ખોરવાઇ હતી. બીજો તબક્કો કુલ 25 દિવસનો હતો, જેમાં મોટાભાગે કોઇ ખાસ કામગીરી થઇ નથી. આ ગાળામાં મહત્વના ફાયનાન્સ બિલ સહિત છ બિલો કોઇપણ ચર્ચા વગર પસાર થયા હતા. આ સત્ર 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી વિરામના દિવસોને બાદ કરીએ તો 66 દિવસ સુધી ચાલ્યું હતું. રાજ્યસભામાં 2019 પછી સૌથી ઓછી ઉત્પાદકતા નોંધાઇ હતી. આ સત્રમાં ગૃહની કામગીરી તેના નિયત સમયના 24 ટકા જેટલી જ શક્ય બની હતી. લોકસભામાં સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ તેમના સંબંધિત ગૃહોમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે પણ વિરોધ પક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.
વિરોધ પક્ષો અદાણી મુદે સંયુક્ત સંસદીય કમિટી દ્વારા તપાસની માગણી માટે દબાણ કરી રહ્યા હતા તો ભાજપના સભ્યો ‘લોકશાહી ખતરામાં’ છે તેવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બ્રિટનમાં કરેલી કથિત ટિપ્પણી બદલ તેમનાથી માફીની માગણી કરી હતી. વિરોધ પક્ષોએ અદાણી સામે ફ્રોડના આક્ષેપોમાં જેપીસી તપાસની માગણીના ટેકામાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્લેકાર્ડ દર્શાવ્યા હતા. સ્પીકર બિરલાએ કહ્યું હતું કે ‘તમે ગૃહની ગરિમાનું હનન કર્યું છે. આવું વર્તન સંસદીય સીસ્ટમ અને દેશ માટે યોગ્ય નથી. જોકે બજેટ સત્રના બન્ને ગૃહોમાં પ્રથમ તબક્કામાં કામગીરી સારી રહી હતી. લોકસભામાં ઉત્પાદકતા પ્રથમ તબક્કામાં 83.80 રહી હતી. જે બીજા તબક્કામાં ઘટીને 5.29 ટકા રહી હતી. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે ગૃહમાં માહિતી આપી હતી કે બજેટ સત્રના પ્રથમ ભાગમાં ઉત્પાદકતા 56.3 ટકા હતી. જે બીજા તબક્કામાં ઘટીને 6.4 ટકા જ રહી હતી. સત્ર સમાપન સંબોધનમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અંગે 14.45 કલાક સુધી ચર્ચા થઇ હતી. તેમાં 145 સાંસદોએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

20 − seventeen =