કેનેડા 2022-2023ના નાણાકીય વર્ષમાં 300,000 લોકોને નાગરિકતા આપશે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) મેમોમાં 31 માર્ચ સુધી નવા નાગરિકોની સંખ્યા માટે લક્ષ્યાંકની રૂપરેખા આપવામાં આવી છે.

IRCC મેમો એક વરિષ્ઠ અધિકારી માટે ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) ના ઓપરેશન્સ, પ્લાનિંગ અને પરફોર્મન્સ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તે ભલામણ કરે છે કે IRCC 31 માર્ચ, 2023 સુધીમાં કુલ 285,000 નિર્ણયો અને 300,000 નવા નાગરિકોની પ્રોસેસ કરે.

આગામી પાંચ મહિનામાં ઓછામાં ઓછા ત્રણ લાખ લોકોને કેનેડાના સિટિઝનશિપના શપથ લેવડાવવામાં આવશે. કોવિડ અગાઉ આ સંખ્યા 2.53 લાખની હતી. ગયા વર્ષે 2.17 લાખ અરજીઓને પ્રોસેસ કરીને સિટિઝનશિપ મંજૂર કરવામાં આવી હતી.

કેનેડા દ્વારા જે વિઝા આપવામાં આવે છે તેમાં દરેક કેટેગરીમાં ભારતીયો આગળ છે. અગાઉના એક રિપોર્ટ પ્રમાણે કેનેડામાં પર્મેનન્ટ રેસિડન્સી (PR) માટે અરજી કરવાની વાત આવે ત્યારે ભારત તેમાં અગ્રેસર છે અને 2021માં કુલ PRમાં ભારતનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો હતો.

કેનેડાના 2016ના રિપોર્ટ અનુસાર અહીં ભારતીય મૂળના લગભગ 14 લાખ લોકો વસવાટ કરે છે. છેલ્લા એક વર્ષમાં લગભગ એક લાખ ભારતીયો ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ કેનેડા ગયા હતા. લગભગ 1.30 લાખ ભારતીયોને ઈન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ હેઠળ વર્ક પરમિટ મળી હતી. 2021થી 2022 દરમિાન 2.10 લાખથી વધારે પર્મેનન્ટ રેસિડન્સી ધરાવતા લોકોને કેનેડાની સિટિઝનશિપ પણ મળી હતી. તેથી કેનેડા સરકારના આ નિર્ણયથી પણ ભારતીયોને સૌથી વધારે ફાયદો થશે તેમ લાગે છે.

કેનેડાના ભારત ખાતેના હાઈ કમિશ્નર કેમેરોન મેકેએ સપ્ટેમ્બર 2022માં જણાવ્યું હતું કે ચાલુ વર્ષના અંત સુધીમાં કેનેડામાં વિઝાની પ્રોસેસ એકદમ નોર્મલ થઈ જશે. તેમણે કહ્યું કે અમે દર સપ્તાહે ભારતીયોને લગભગ 10 હજાર વિઝા આપીએ છીએ, પરંતુ આટલી ઝડપ પૂરતી નથી. કોવિડના કારણે પણ કેનેડા પાસે વિઝાની અરજીઓનો ઢગલો થયો હતો જેનો હજુ સુધી નિકાલ નથી થયો. 2019માં ભારતમાંથી જે વિઝા અરજીઓ મળી હતી તેની સરખામણીમાં આ વખતે 55 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

9 − 9 =