CBI raids offices of Jet Airways founder in bank fraud case
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ (ફાઇલ ફોટો) (REUTERS Photo)

રૂ.538 કરોડના કથિત બેન્ક કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને એરલાઇનની જૂની ઓફિસો પર શુક્રવારે દરોડા પાડ્યાં હતા. જાહેર ક્ષેત્રની બેન્ક કેનેરા બેંકની ફરિયાદને આધારે  સીબીઆઈએ નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા, ભૂતપૂર્વ ડાયરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટી અને બેંકના અજાણ્યા અધિકારીઓ સામે કેસ નોંધ્યો હતો.

ફરિયાદમાં વ્યક્તિઓ પર ફંડ ડાયવર્ટ કરવાનો અને બેંકને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. સૂત્રો જણાવ્યું હતું કે સાત સ્થળો પરના દરોડાની કાર્યવાહી જેટ એરવેઝના નવા માલિકો જાલાન કાલરોક કન્સોર્ટિયમ સાથે જોડાયેલી ન હતી. નવા માલિકે ગુડગાંવમાં ઓફિસ જાળવી રાખી છે એરલાઇનને પુનર્જીવિત કરવા માટે કામ કરી રહ્યાં છે.

એક સમયની ભારતની સૌથી મોટી એરલાઇન્સ તીવ્ર નાણાભીડને કારણે એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી. નાદારીની લાંબી પ્રક્રિયા પછી જૂન 2021માં યુએઈ સ્થિત ઉદ્યોગપતિ મુરારી લાલ જાલાન અને લંડન સ્થિત કાલરોક કેપિટલ ભાગીદારી કરીને એરલાઇનને હસ્તગત કરી છે.

સીબીઆઈએ જેટ એરવેઝ અને તેના સ્થાપકો પર ફંડની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ, 2011 અને 30 જૂન, 2019 વચ્ચે એરલાઈને પ્રોફેશનલ અને કન્સલ્ટન્સી ખર્ચ પર ₹1,152.62 કરોડનો ખર્ચ કર્યો હતો. જેટ એરવેઝ સાથે જોડાયેલ એકમોમાં કુલ ₹197.57 કરોડના શંકાસ્પદ વ્યવહારોની ઓળખ કરવામાં આવી હતી, જેમાં એરલાઇનના મુખ્ય સંચાલકીય કર્મચારીઓ પણ આ એકમો સાથે જોડાયેલા હતા.

 

LEAVE A REPLY

five × 3 =