ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે દશેહના શુભપર્વ નિમિત્તે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને ધાર્મિક વિધી સાથે શસ્ત્ર પૂજા કરી હતી. આ પૂજામાં ગુજરાત પોલીસ અને સુરક્ષાકર્મીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સામાન્યથી અત્યાધુનિક હથિયારો પણ મૂકવામાં આવ્યા હતા. ઉજવણી દરમિયાન રાજ્યની સલામતી સાથે જોડાયેલા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિજયાદશમીના પર્વ પર શસ્ત્ર પૂજનની પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પરંપરાને ભૂપેન્દ્ર પટેલે જાળવી રાખી છે.

રાજ્યના નાગરિકોને દશેરાના પર્વની શુભેચ્છા પાઠવીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વિજયાદશમી ઉત્સવે સૌએ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.” ભૂપેન્દ્ર પટેલે દેશ તથા ગુજરાતનો વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, “આસૂરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.”

અધિકારીઓ અને પોલીસકર્મીઓએ પણ શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાનએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કર્યા બાદ પોલીસકર્મી અને અધિકારીઓ સાથે વાત કરી હતી.આ વર્ષે યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેક્ટર્સ, સબ ઇન્સ્પેક્ટર્સ મળીને 50 જેટલા સુરક્ષા જવાનો જોડાયા હતા. આ કર્મચારીઓએ પણ શસ્ત્ર પૂજન કરીને ગુજરાત તથા દેશનો વિકાસ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

આ હથિયારોની પૂજા કરીને રાજ્ય તથા દેશ આગામી દિવસોમાં સુરક્ષા જળવાઈ રહે અને પ્રગતિ થતી રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં જ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે જેથી તેમણે પહેલી વખત દશેરાના શુભ પર્વ પર શસ્ત્ર પૂજન કર્યું છે.