(ANI Photo)

પ્રદૂષણની સમસ્યાને પગલે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં વધુ આદેશ ન થાય ત્યાં સુધી સ્કૂલ, કોલેજ અને શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાનો મંગળવારની રાત્રે આદેશ આપ્યો હતો.

કમિશનને જણાવ્યું હતું કે દિલ્હીના 300 કિમીના દાયરામાં આવેલા 11 થર્મલ પ્લાન્ટમાંથી માત્ર પાંચ પ્લાન્ટ 30 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. દિલ્હી અને એનસીઆરમાં 21 નવેમ્બર સુધી બાંધકામ અને ડેમોલિશન પ્રવૃત્તિ પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જીવનજરૂરી સિવાયની વસ્તુઓ લાવતી ટ્રક પણ રવિવાર સુધી દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં. કમિશનને દિલ્હી તથા હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિતનાા એનસીઆર રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એનસીઆર રાજ્ય સરકારોને રવિવાર સુધી એનસીઆરની ઓફિસમાં ઓછામાં ઓછાા 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યો હતો.

કમિશનને જણાવ્યું હતું કે અમાન્ય ઇંધણનો હજુ પણ ઉપયોગ કરતા એનસીઆરના તમામ ઇન્ડસ્ટ્રીઝ તાકીદની અસરથી બંધ કરાશે. દરમિયાન કેન્દ્ર સરકારે પણ નેશનલ કેપિટલ રિજનમાં તેના તમામ કર્મચારીઓને ઓફિસ જવા માટે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવાની તાકીદ કરી હતી, એમ પર્સોનેલ મંત્રાલયે જણાવ્યું હતું.