બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. (PTI Photo/Kunal Patil)

મુંબઈના દરિયામાં ક્રૂઝ શિપમાં ડ્રગ પાર્ટીના કેસમાં બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈની સેશન્સ કોર્ટમાં સોમવારે સુનાવણી શરૂ થઈ હતી. આર્યન અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી 13 ઓક્ટોબર પર મુલતવી રાખી હતી.

13 ઓક્ટોબરે સવારે 11 કલાકે આ કેસની સુનાવણી થશે. હવે આર્યન ખાનને હજી ઓછામાં ઓછા 3 દિવસ આર્થર રોડ જેલમાં કાઢવા પડશે. આર્યન ખાન ઉપરાંત ડ્રગ્સ કેસમાં પકડાયેલા અરબાઝ મર્ચન્ટના વકીલે જામીન અરજી તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ પણ જામીન અરજી પર સુનાવણીની માગ કરી છે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જવાબ આપવા માટે ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય માગ્યો છે. NCBએ કહ્યું, “અમે આ કેસમાં 20 લોકોની ધરપકડ કરી છે. હજી તપાસ ચાલુ છે એટલે જવાબ આપવામાં સમય લાગશે.”

અગાઉ આર્યન ખાનની જામીન અરજી એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી હતી. હવે જો સેશન્સ કોર્ટ પણ આર્યનને જામીન નહીં આપે તો વકીલોને જામીન મેળવવા માટે હાઈકોર્ટ જવું પડશે. સેશન્સ કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર જજ વી.વી.પાટીલે સુનાવણી કરી હતી. આર્યન ખાન તરફથી કોર્ટમાં સિનિયર એડવોકેટ અમિત દેસાઈએ દલીલ કરી હતી. જ્યારે સતીશ માનશિંદે પણ ત્યાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનને 2 ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપમાંથી પકડ્યો હતો. એજન્સીએ આર્યન સહિત સાત લોકોની ધરપકડ કરી હતી.