Getty Images

ફ્રાન્સથી લાવવામાં આવેલા આધુનિક યુદ્ધ વિમાનો રાફેલને ગુરુવારે સવારે ભારતીય હવાઇ દળના અંબાલા મથક પરથી ફ્લાયપાસ્ટ કર્યા બાદ હવાઇ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા. રાફેલ માટેના ખાસ ભવ્ય સમારંભમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લે હાજર હતાં.

આ પ્રસંગે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વાયદળમાં રાફેલની સામેલગીરી એવા દેશો માટે કડક સંદેશ છે કે જેઓ ભારતના સાર્વભોમત્વ પર નજર રાખી રહ્યા છે. સમારોહમાં વોટર કેનન દ્વારા રાફેલ વિમાનોને સલામી અપાઇ ત્યારે હાજર રહેલા મહાનુભાવોએ હર્ષનાદ અને તાળીના ગડગડાટથી આ કાર્યક્રમને વધાવી લીધો હતો.

ભારતની સેનાના ત્રણે પાંખના વડા અને વરિષ્ઠ અધિકારીઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. ભારતીય હવાઇ દળના વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંઘ ભદોરિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાફેલને હવાઇ દળમાં સામેલ કરાયા એ પહેલાં ભારતીય લશ્કરની પરંપરા મુજબ સર્વ ધર્મ પૂજા કરવામાં આવી હતી. ભારતના હવાઇ દળની 17મી સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝમાં આ વિમાનોને સામેલ આવ્યા હતા. અંબાલા ભારત-પાકિસ્તાનની પંજાબ તરફી સરહદ નજીક આવેલું હવાઇ દળનું મથક છે. રાફેલ વિમાનોથી વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે.

આ સમારોહમાં ભાગ લેવા માટે ફ્રાન્સના મહિલા રક્ષામંત્રી ગુરુવારની સવારે ભારત આવ્યા હતા. 5 રાફેલ લડાકૂ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યો હતો. 2016માં ભારત તરફથી 59 હજાર કરોડ રૂપિયામાં 36 વિમાનોની ખરીદીના સરકારી કરાર કર્યાના ચાર વર્ષ બાદ પહેલો જથ્થો ભારત પહોંચ્યો હતો. આ 36 વિમાનોમાંથી 30 વિમાનો લડાકૂ ક્ષમતાવાળા છે, જ્યારે કે, 6 વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન છે. જો કે જરૂર પડે તો આ ટ્રેનિંગ વિમાનને પણ યુદ્ધના મેદાનમાં ઉતારી શકાય તેવી ક્ષમતા છે.