કચ્છના રણોત્સવમાં ત્રણ ટેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તેમાં રહેતા પ્રવાસીઓનો તમામ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ ભયાનક આગના કારણે રણોત્સવમાં મોજ માણી રહેલા લોકોમાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી.

આ આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેતા લોકોમાં હાશકારો અનુભવાયો હતો. આગ લાગવાનું કારણ હજું પણ અકબંધ છે. કેવી રીતે આગ લાગી તેની હજુ સુધી કોઈને જાણ થઈ શકી નથી. અને આગ લાગી ગયા બાદ પણ ઓથોરિટીમાંથી કોઈ પણ હજુ સુધી ઘટના સ્થળે હાજર નથી.

આ બનાવની મળતી વિગત અનુસાર રણ ઉત્સવએ હવે માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર વિશ્વની ઓળખ બની ચૂક્યું છે. જેથી વિદેશી પ્રવાસીઓ રણ ઉત્સવની મઝા માણવા માટે આવતા હોય છે. પણ આજે રણ ઉત્સવમાં કોઈ દિવસ ન બની હોય તેવી ઘટના સામે આવી હતી.

આજરોજ કચ્છના રણોત્સવમાં ત્રણ ટેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ત્રણેય ટેન્ટમાં વિદેશથી આવેલ NRI પરિવાર રોકાયા હતા. અમદાવાદના પટેલ એનઆરઆઈના ત્રણ પરિવારો વેકેશન દરમિયાન રણોત્સવની મજા માણવા આવ્યા હતા.

તેઓના પાસપોર્ટ સહિતનો મહત્વનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો છે.આગમાં તેમના કેટલાક અમેરિકન નાગરિકતાના દસ્તાવેજ અને ડોલર પણ બળીને ખાક થયા છે. જોકે, આગ કાબૂમાં લેવાઈ ગઈ છે. પરંતુ આગને પગલે રણોત્સવમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. અચાનક ટેન્ટમાં આગ લાગવાના કારણે NRI મુસાફરના પાસપોર્ટ સહિત કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.

આગ કયા કારણોસર લાગી હતી તેનો કોઈને ખ્યાલ નથી. પણ વતન પરત ફરવા માટેની જે વસ્તુ હોય છે તે પાસપોર્ટ જ આગામાં ખાખ થઈ જતા વિદેશી પ્રવાસીઓ પણ મૂંઝાયા હતા.ટેન્ટમાં લાગેલી આગ એટલી ભયજનક હતી કે ત્યાં ટેન્ટ હતો કે નહીં તે પણ મુસાફરો માટે મોટો સવાલ ઉભો થયો હતો.

જ્યાં જ્યાં નજર પડતી હતી ત્યાં ત્યાં માત્રને માત્ર આગના કારણે ભષ્મીભૂત થઈ ગયેલી વસ્તુઓ જ દેખાતી હતી. મહત્વની વાત એ છે કે રણ જેવા વિસ્તારમાં અચાનક ટેન્ટમાં આગ લાગી કેવી રીતે ? કારણ કે અત્યાર સુધી રણોત્સવમાં આવી કોઈ પણ ઘટના પ્રકાશમાં આવી નથી.