(Photo by STR/AFP via Getty Images)

અભિનેતા રિતેશ દેશમુખની અભિનેત્રી પત્ની જેનેલિયા 10 વર્ષ પછી ફિલ્મોમાં ફરી એકવાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આવનારા સમયમાં તે એક મરાઠી ફિલ્મમાં જોવા મળશે જેનું દિગ્દર્શન રિતેશ દેશમુખ કરી રહ્યો છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ અને બોલીવૂડમાં પોતાની એક્ટીંગનો જાદુ પાથર્યા બાદ, તે હવે પ્રથમવાર મરાઠી ફિલ્મમાં દેખાવાની છે.
રિતેશ દેશમુખે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે પ્રથમવાર ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે, જે એક મરાઠી ફિલ્મ છે અને તેનું નામ ‘વેદ’ રાખવામાં આવ્યું છે. હવે જેનેલિયાએ પણ ફિલ્મના સેટ પરથી એક વીડિયો રેકોર્ડ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, 10 વર્ષ બાદ ફિલ્મોમાં પરત આવી રહી છું અને આ મારી પ્રથમ મરાઠી ફિલ્મ છે.

રિતેશ છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેણે પ્રોડ્યુસ કરેલી મરાઠી ફિલ્મ ‘યેલો’ ને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. એક્ટર અને પ્રોડ્યૂસર તરીકે સફળતા મેળવનાર રિતેશ ડાયરેક્ટર તરીકે કેટલો સફળ રહે છે, તે તો સમય જ બતાવશે.