ભારતમાં સતત વધી રહેલી હિંસાની ઘટનાઓથી દેશને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચી રહ્યું છે. સીએએ-એનઆરસી, ખેડૂત આંદોલન, પયંગમ્બર વિવાદ બાદ ભારતીય સેના લાગુ કરવા માટેની સૂચિત અગ્નિપથ યોજનાને લીધે દેશમાં મોટા પ્રમાણમાં હિંસા ફેલાઈ છે. આ કારણે ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારત 163 દેશોની યાદીમાં 135મા ક્રમે છે. જ્યારે ભારતના પડોશી દેશ ચીન 54 અને પાકિસ્તાન 138મા સ્થાને છે. આ હિંસક ઘટનાઓને લીધે ભારત 646 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ નાણાથી દેશનું બજેટ વધારી શકાયું હોત અથવા તો અનેક પ્રકારની લોકકલ્યાણની યોજનાઓ લાગુ કરી શક્યા હોત. પરંતુ હિંસાની આગથી વધુ નુકસાન થયું છે.
ભારતના કુલ જીડીપી પૈકી છ ટકા જેટલું નુકસાન આવી હિંસાથી થયું છે. ગત વર્ષે પણ દેશમાં કેટલાક મુદ્દાઓને લઈને હિંસા પ્રસરી હતી. આ કારણે કર્ફ્યૂ, ઈન્ટરનેટ શટડાઉન જેવા આકરા પગલા ભરવા પડ્યા હતા. આ સિવાય આતંકવાદી અને નક્સલી હુમલાઓના કારણે પણ દેશને મોટું આર્થિક નુકસાન થયું છે. હિંસાની ઘટનાઓમાં જાન-માલને નુકસાન ઉપરાંત પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે પણ દેશને નુકસાન ઉઠાવવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ પીસ ઈન્ડેક્સ-2020ના રિપોર્ટ મુજબ હિંસક આંતરિક સંઘર્ષનો સામનો કરી રહેલા દેશોની સંખ્યા 29થી વધીને 38 થઈ ગઈ છે. આફ્રિકા પછી સાઉથ એશિયા વિશ્વમાં બીજા ક્રમનું સૌથી અશાંત ક્ષેત્ર છે. સીરિયા, સાઉથ સુદાન અને મધ્ય આફ્રિકી દેશમાં હિંસાને લીધે સૌથી વધુ નુકસાન થયું છે. જ્યારે આઈલેન્ડ, કોસોવો અને સ્વિત્ઝરલેન્ડ હિંસાથી સૌથી ઓછા પ્રભાવિત છે.
વર્લ્ડ પીસ ઈન્ડેક્સમાં આઈલેન્ડ પ્રથમ ક્રમે છે, જ્યારે અફઘાનિસ્તાન 163 દેશોમાંથી સૌથી છેલ્લા નંબરે છે. જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે અને આર્યલેન્ડ ત્રીજા ક્રમે છે. અફઘાનિસ્તાનથી ઉપર યમન અને સીરિયાનો ક્રમ છે. આ ત્રણેય દેશો ગંભીર રીતે આતંકવાદ અને ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યા છે.