રાજ્યના 6 શહેર એવા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 3જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા કરવા CM રૂપાણીએ મંત્રીઓની બેઠક બોલાવી છે.ગુજરાતમાં લૉકડાઉન-2 દરમિયાન કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો નોંધાયો છે. આણંદમાં નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે.

આમ અત્યાર સુધીમાં કુલ 3791 દર્દી નોંધાયા છે અને 434 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, લોકો વચ્ચેનો સંપર્ક ઘટે તે જરૂરી છે. ટૂ વ્હીલર પર એક જ વ્યક્તિએ જરૂર હોય તો બહાર નીકળવું જોઇએ. કારમાં બેથી વધુ લોકો સાથે બેસે તો સંક્રમણ થઇ શકે છે. જો ટૂ વ્હીલરમાં એકથી વધુ અને કારમાં બેથી વધુ લોકો હશે તો વાહન જપ્ત કરવામાં આવશે.

ગ્રીનઝોન વિસ્તારના લોકોએ પણ તકેદારી રાખવાની જરૂર છે. સંક્રમણ વધુ હોય ત્યાં સાવચેતીના ભાગરૂપે છૂટછાટ રદ કરવામાં આવી શકે છે. તેમજ જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે નહીં તો ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. પંચમહાલમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ખોલવા મંજૂરી અપાઈ હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા પંચમહાલમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરવા આદેશ કરાયો છે અને એસઆરપીની ટીમ મોકલવામાં આવી છે.