ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવા ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલંસ અને ધનવંતરી રથ ની કામગીરી સધન બનાવાશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલ સંક્રમણ માટે મુખ્યપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત રસીકરણની કામગીરીની સમીક્ષા કરી તે ડપથી પૂર્ણ થાય તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત બેઠકમાં કોરોનાના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી  અને ચાર મહાનગર પાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્યુ ૧૫ દિવસ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ  બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણ, ફેઝ-૨ માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ ૧૦૪ કોરોના સંક્રમણ તેમજ કોવિડ-૧૯ રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોને કોવિડ-૧૯ રસી અંગે અને રસીકરણ બાદની આડ અસર અંગે મુંઝવતા પ્રશ્નો વિશે લોકોને સમયાંતરે નિષ્ણાંતો દ્વારા માહિતગાર કરવા અને આરોગ્ય વિભાગને કાર્યક્રમના સફળ આયોજન માટે માર્ગદર્શન આપવા નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સઘન કામગીરી કરવા મુખ્યમંત્રી શ્રી ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ ના રસીકરણ પ્રથમ તબક્કામાં  આજ દિન સુધી ૪.૮૨ લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ ૪.૦૭ લાખ (૮૪%)થી વધુ અને ૫.૪૧ લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૪.૧૪ લાખ (૭૭%)થી વધુને કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧.૬૪ લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી ૧.૨૩ લાખ (૭૬%)ને બીજો ડોઝ, આપી દેવામાં આવેલ છે. ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-૧૯ની રસી કોવિશિલ્ડના ૧૫.૭૦ લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ૪.૮૬ લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.
તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ આગામી ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રસીના રૂ. 150 અને વહીવટી ખર્ચના રૂ. 100 લેખે એક ડોઝ કુલ રૂ. 250માં લઇ શકાશે.
ડો. જયંતિ રવિએ કહ્યુ કે, બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે અંદાજીત ૫૦૦ જેટલા સેન્ટર (સરકારી+ખાનગી) દ્વારા રસીકરણ કામગીરી કરાશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરાશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતિ લાભાર્થી ને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે. તમામ રસી લીધેલ લાભાર્થીઓને રસીકરણ થવા બાબતનું પ્રમાણપત્ર જે-તે રસીકરણના સ્થળેથી આપવામાં આવશે.