He who understands the spirit of the cremation wakes up

પૂ. મોરારિબાપુ

મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા છે, જ્યાં જનારા હંમેશ માટે સૂઈ જાય છે અથવા તો ત્યાં યોગ્ય રીતે પહોંચે છે એ હંમેશ માટે જાગી પણ જાય છે. એટલે જો હંમેશ માટે જાગવું હોય તો જાઓ સ્મશાનમાં અને હંમેશ માટે સૂવું હોય તો જાવ સ્મશાનમાં. કેમ કે ત્યાં જે એકવાર જાય છે તે હંમેશ માટે સૂઈ જાય છે; પછી એને કોઈ ઉઠાડતું નથી. જેમને સ્મશાનનું અધ્યાત્મ સમજાઈ જાય છે એ હંમેશ માટે જાગી જાય છે. તો સ્મશાન બંને રીતે ફાયદાકારક છે. સ્મશાનની વાતોએ આપણને ખુબ ડરાવ્યા છે, ખૂબ જ ભયભીત કર્યા છે ! અને માણસ પોતાના આયુષ્યને કારણે અથવા તો અન્ય કોઈ કારણે મરે છે એનાથી વધારે તો ભયથી મરે છે. માણસને સ્મશાનનો ખુબ જ ભય રહ્યા કરે છે.

આવો, આપણે ‘ માનસ- મસાન’માં ત્રણ પ્રકારના સ્મશાનની સંવાદી ચર્ચા કરીને નિર્ભય બનીએ. સૌને સ્મશાનમાં સત્ય સમજાય છે, કેમકે મૃત્યુ સિવાય બીજું કોઈ સત્ય છે ? આપણો જન્મ સત્ય નથી.

આ વખતે ક્યાં જમ્યા અને જો આ જનમ-જનમના ફેરામાં રહેવા માંગીએ તો બીજીવાર ક્યાં જન્મીશું એની શું ખબર ? કોઈ ઠેકાણું નથી. જન્મ લીધા પછી આપણે કિશોરકાળમાં પહોંચી શું કે નહીં એ ખબર નથી; યુવાન થઈ શકીશું કે નહી, ખબર નથી. કંઈ નિશ્ચિત નથી. લગ્ન થશે કે નહીં, કંઈ નિશ્ચિત નથી. લગ્ન થયા બાદ લાંબા સમય સુધી ચાલશે કે નહીં એનું કંઈ ઠેકાણું નથી ! બૂઢાપો આવશે કે નહીં; બૂઢાપામાં સાજા રહીશું કે કોઈ બીમારી આવશે એ કંઈ નક્કી નથી. એ પરંતુ એ એક પરમ સત્ય છે કેમ મૃત્યુ તો થશે જ; મરવું તો પડશે જ; મૃત્યુ તો આવશે જ.

તો સ્મશાન વિશે જ્યારે સંવાદ કરીએ છીએ ત્યારે એક વાત એ છે કે સ્મશાન સત્ય છે. બીજું, સ્મશાન પ્રેમ છે. પ્રેમ એ સૌનો સ્વીકાર કરવાનું નામ છે. જે સૌનો સ્વીકાર કરે એનો એક અર્થ છે પ્રેમ. કોઈનો તિરસ્કાર નહીં કરે પ્રેમ. સ્મશાન એક એવી જગ્યા છે,

જે સૌનો સ્વીકાર કરે છે. રાજા, રંક, પંડિત કોઈ પણ હોય, સ્મશાન સૌનો સ્વીકાર કરશે. એટલા માટે મારી દ્રષ્ટિએ સ્મશાન સત્યભૂમિ છે, સ્મશાન પ્રેમભૂમિ છે. અને સ્મશાન માં જે એક વાર ગયા હોય અને એ પણ કાશીમાં ગયા હોય, તો બીજી વાર પછી જ નથી લેવો પડતો, કોની કરુણાથી ? મહાદેવની કરુણાથી. તો સ્મશાન કરુણા પણ છે. તો આ ગુરુકૃપાથી ચાલી રહેલી મારી આધ્યાત્મિક યાત્રાનો જે નિચોડ છે સત્ય, પ્રેમ, કરુણા. એમ મને એવું પણ લાગે છે કે સ્મશાન સત્ય છે. સૌનો સ્વીકાર કરવાને કારણે સ્મશાન પ્રેમ છે. અને કાશીમાં જે મરે છે એ મહાદેવની કરુણાથી મુક્ત થઈ જાય છે; એક કરુણા સિવાય થઇ જ ન શકે, એટલે સ્મશાન કરુણા છે. તો બાપ! આ નાની એવી પૂર્વભૂમિકા છે. આ સદ્ભાગ્ય છે કે સ્મશાનને બહાને મારી વ્યાસપીઠને એક અવસર મળ્યો. આપણે મરવું નથી; હજી જીવવું છે, પરંતુ એકવાર તેના વિશે વિચારીએ તો ખરા. તો મૃત્યુ સત્ય છે. એ સત્યનો સ્વીકાર કરવો. ભય નીકળી જવો જોઈએ. આપણા જીવનમાં પ્રલોભન અને મૃત્યુનો ભય એ બે મોટી મુશ્કેલી છે. ભગવત કથા સાંભળીને જો પ્રલોભનો નીકળી જાય અને મૃત્યુનો ભય નીકળી જાય તો મુક્તિ આપણી મુઠ્ઠીમાં આવી શકે; જીવનની પ્રસન્નતા આપણા કાબૂમાં આવી શકે. એટલે મને લાગે છે કે ‘ માનસ- મસાન’નો આ સંવાદ મને અને તમને ખૂબ વિશેષ પ્રસન્ન કરી શકે તેમ છે. આવા પવિત્ર ભાવ સાથે હું આજે પહેલા દિવસે આ કથાનો આરંભ કરી રહ્યો છું. જેમના જીવનમાં પ્રલોભનો નીકળી જાય અને મૃત્યુનો ભય નીકળી જાય એ જીવન અને મૃત્યુ બંને પર સવાર થઈ શકે છે; આનંદિત થઈ શકે છે.

સંકલન: જયદેવ માંકડ
(માનસ-મસાન, બનારસ,૨૦૧૭)

LEAVE A REPLY

1 × one =