પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુક્રેન યુદ્ધને પગલે વિશ્વભરમાં ભૂખમરાની સમસ્યા વકરવાની શક્યતા છે. દૈનિક ધોરણે પૂરતો ખોરાક ન મળતો હોય તેવા લોકોની સંખ્યા ગયા વર્ષે વધીને વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચી છે અને યુક્રેન યુદ્ધથી અનાજના વૈશ્વિક ઉત્પાદનને અસર થઈ હોવાથી આ સંખ્યા ચોંકાવનારા સ્તરે પહોંચશે, એમ યુનાઇટેડ નેશન્સ (યુએન)એ જણાવ્યું છે.

વિશ્વમાં 53 દેશોમાં આશરે 19.3 કરોડ લોકોએ 2021માં અનાજની તીવ્ર અસુરક્ષાનો સામનો કરવા પડ્યો હતો. આ ભૂખમરાની સમસ્યા માટે યુદ્ધ, તીવ્ર હવામાન અને કોરોના મહામારીની આર્થિક અસરો સહિતના ત્રણ કારણોનું ઝેરી કોમ્બિનેશન જવાબદાર છે. યુક્રેન યુદ્ધથી 4.7 કરોડ લોકોએ સામે અનાજની કટોકટી ઊભી થવાનો અંદાજ છે.

દરરોજ પૂરતા ખોરાક વગરના લોકોની સંખ્યા ગયા વર્ષે વધીને 4 કરોડ થઈ હતી, જે છેલ્લાં કેટલાંક વર્ષોથી વાર્ષિક વધારાના ચિંતાજનક ટ્રેન્ડને પુષ્ટી આપે છે. આ આંકડા ફૂડ ક્રાઇસિસ અંગેના વૈશ્વિક રીપોર્ટમાં આવવામાં આવ્યા છે. આ અહેવાલ યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને યુરોપિયન યુનિયનને સંયુક્ત રીતે તૈયાર કર્યો છે.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાન, કોંગો, ઇથોપિયા, નાઇજિરિયા, દક્ષિણ સુદાન, સિરિયા અને યમન સહિતના દેશોમાં લાંબો સમય યુદ્ધ કે સંઘર્ષ ચાલુ રહ્યો છે અને આવા દેશોમાં અનાજની સૌથી વધુ અસુરક્ષા છે. સોમાલિયામાં 2022માં વિશ્વની સૌથી ખરાબ અનાજ કટોકટી ઊભી થવાનો અંદાજ છે. આ દેશ હાલમાં લાંબા દુકાળ, ફૂડના ભાવમાં વધારો અને વણથંભી હિંસા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ પરિબળોને કારણે સોમાલિયામાં 60 લાખ લોકો ભયાનક ફૂડ કટોકટીમાં સપડાઈ શકે છે.

યુએને જણાવ્યું છે કે જો ગ્રામીણ સમુદાયોને મદદ કરવા માટે આજે વધુ પગલાં લેવામાં નહીં આવે તો ભૂખમરો અને આજીવિકા ગુમાવવાના સંદર્ભમાં વિનાશનો વ્યાપ ઘણો જ ચોંકાવનારો હશે. આવી ભયાનક સ્થિતિ ઊભી ન થાય તે માટે તાકીદે મોટા પાયે માનવતાવાદી પગલાં લેવાની જરૂર છે. યુક્રેનમાં યુદ્ધથી સોમાલિયા અને આફ્રિકાના બીજા દેશોમાં ફૂડ ક્રાઇસિસનું જોખમ વધી જશે, કારણ કે આ દેશો ઘઉં, ફર્ટિલાઇઝર અને બીજા ફૂડ સપ્લાય માટે યુક્રેન અને રશિયા પર આધાર રાખે છે.