Illnesses due to exam or any other stress and their Ayurvedic treatment

ડો. યુવા અય્‍યર
આયુર્વેદિક ફિઝિ‌શિયન

શિયાળો પૂરો થઈ અને ગરમીના દિવસો શરૂ થવાની વચ્ચેનો સમયગાળો હવામાનની દ્રષ્ટિએ આહલાદક અનુભવાય છે. શિયાળામાં લાગતી તીવ્ર ઠંડીથી છુટકારો અનુભવાય છે, ખૂલ્લી હવામાં બહારનું વાતાવરણ સહ્ય બને છે. પ્રકૃતિ પણ ફુલોથી ખીલી ઉઠે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ આ સમયગાળો શિયાળાની ઠંડકની અને ઉનાળાની ગરમીની વચ્ચેનો ‘ઋતુસંધિ’ કાળ કહેવાય છે. જે દરમ્યાન સવાર અને રાત્રે ઠંડક અને દિવસ દરમ્યાનનાં તાપ અને સૂર્યકિરણોની અસરથી રોગ થવાની સંભાવના વધી જાય છે. આયુર્વેદ વસંત ઋતુને કફનો પ્રકોપ કાળ કહે છે. ભલે ઠંડી ઓછી થતી જતી હોય પરંતુ શિયાળાની ઠંડકથી શરીરમાં જમા થયેલો કફ શ્વસનતંત્ર, પાચનતંત્ર, ચામડી વગેરેમાં પ્રસરી અને સળેખમ, શ્વાસ, અપચો, ઓરી-અછબડા-શીળશ-ખરજવું જેવા રોગ કરવાં માટે સક્ષમ બને છે આથી જ પરીક્ષાનાં દિવસો જેમ-જેમ નજીક આવતાં જાય છે તેમ-તેમ મન પર બોજ વધે છે. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ઊંઘ ન આવવી, ભૂખમાં અનિયમિતતા, પાચન બરાબર ન થવું જેવી અનેક નાની-મોટી તકલીફથી વિદ્યાર્થીઓ પરીક્ષાનાં થોડાં મહિનાઓ પહેલાં પરેશાન થતાં હોય છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં સાથેસાથે સામાજિક-આર્થિક કારણોસર વિદ્યાર્થીઓનાં મા-બાપ પણ અનિંદ્રા, ખરજવું, વારંવાર શરદી-તાવ, બ્લડપ્રેશર વધી જવું, પાલ્પીટેશન જેવી તકલીફનાં શિકાર બનતાં હોય છે.

• સામાન્ય બુદ્ધિથી વિચારતા એવો પ્રશ્ન જરૂર થાય કે પરીક્ષા નજીક આવતાં પરિણામનું ટેન્શન થવાથી સ્ટ્રેસ, એન્ઝાયટી કે ડિપ્રેશન થાય તે સમજી શકાય. પરંતુ ભૂખ-પાચનમાં અનિયમિતતા, ઝાડા, શરદી-તાવ વગેરે શારીરિક રોગ અને પરીક્ષાનાં તણાવને સબંધ હોય ખરો ?

આ બાબતને આયુર્વેદનાં ત્રિદોષ અને પંચમહાભૂતનાં સિદ્ધાંતનો આધાર લઈને ટૂંકમાં કહીએ તો કોઈપણ ઘટના કે શારીરિક-માનસિક પ્રવૃત્તિ લાંબા સમયગાળા સુધી માનસિક તણાવ પેદા કરે તેની અસરથી સત્વાત્મેન્દ્રિયનો અતિયોગ અને હીનયોગ થાય છે. સત્ત્વ એટલે મન, આત્મા એટલે આપણું ચેતન તત્વ અને ઈન્દ્રિય એટલે આંખ, કાન, નાક વગેરે જ્ઞાનેન્દ્રિયો અને હાથ-પગ વગેરે કર્મેન્દ્રિયો. આમ ‘સત્વાત્મેન્દ્રિય’ -નું યોગ્ય જાડાણ-યોગ થાય ત્યારે થતી પ્રવૃત્તિ યોગ્ય પરિણામ લાવે છે તથા શરીર કે મનને નુકશાન થતું નથી, પરંતુ જરૂર કરતાં વધુ સમય, અયોગ્ય સમયે, જરૂરથી વધુ ચિંતન-મનન અને એક જ પ્રકારની પ્રવૃત્તિનું સાતત્ય થાય ત્યારે ‘સત્વાત્મેન્દ્રિય’નો અતિયોગ કે હીનયોગ થવાની આડઅસરથી મનનાં વિવિધ કાર્યો જેવાકે વિચારવું, સમજવું, યાદ રાખવા લાયક બનાવવું-અનુભવવું વગેરે તથા શરીરની સમગ્ર જૈવરાસાયણિક પ્રક્રિયા-ડાયજેશન, મેટાબોલિઝમ અને સાયકોસોમેટિક-મનોદૈહિક પ્રક્રિયા પર આડઅસર થવાની સંભાવના વધી જાય છે તેથી જે તે વ્યક્તિને પ્રકૃતિગત દોષ બગડવાથી અથવા જે તે રોગ દબાઈને રહ્યાં હોય અથવા જે તે શારીરિક અંગોનાં કાર્ય સક્ષમ ન હોય તે સબંધિત રોગ થવાની સંભાવના વધી જતી હોય છે.

મહત્ત્વની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ અને તેમનાં પાલકો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતાં સ્ટુડન્ટસ, વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ હોય કે પછી વર્તમાન સમયમાં તો સ્ટ્રેસ ખૂબ સામાન્ય બની ગયો છે, કોઈ વિશિષ્ટ કિસ્સામાં તો પ્રાથમિક શાળાનાં સ્ટુડન્ટ અને મમ્મીઓ પણ પરીક્ષાની સિઝનમાં સ્ટ્રેસ અને તેના સબંધિત બિમારીનો ભોગ બનતાં હોય છે.

માનસિક બોલથી થતો અપચો,પરીક્ષાનાં સ્ટ્રેસથી થતી નાની-મોટી તકલીફોનું મૂળભૂત કારણ વાયુદોષની વિકૃતિ હોય છે કેમકે જીવનમાં થતી વિવિધ શારીરિક-માનસિક પ્રવૃત્તિનું સ્થાન જ્યારે માત્ર પરીક્ષાની તૈયારીમાં કે કોઈ સ્ટ્રેસ આપે તેવી પ્રવૃત્તિઓમાજ સીમિત થઈ જાય ત્યારે શારીરિક પ્રવૃત્તિઓ ઘટી જાય છે. જીવન બેઠાડું બની જાય છે જેની સીધી આડઅસર પાચન પર થાય છે. અપચો, કબજીયાત અને ભૂખની અનિયમિતતાથી બગડેલો વાયુ ઈમ્યુનિટીમાં ઘટાડો, એન્ઝાયટી-ડિપ્રેશન, અનિંદ્રા, ઈરિટેબલ બાઉલ મુવમેન્ટ IBS, વારંવાર ઓડકાર આવવા, હાથ-પગ કે કમરમાં દુઃખાવો, માથામાં દુઃખાવો, માઈગ્રેન-સાયનસાઈટીસ જેવી ઘણી તકલીફો વાયુ તત્વની કામગીરી બગડવાથી થાય છે.

આધુનિક વિજ્ઞાન પણ પાચનક્રિયા અને મન-મગજની પ્રવૃત્તિને સીધો સબંધ છે તેમ જણાવે છે આથી જ નાના આંતરડાને સેકન્ડ બ્રેઈનની ઉપમા આપવામાં આવી છે. Gut (આંતરડા) અને Brain (મગજ) નાં કનેક્શનને Gut brain axis કહે છે. જેને ENS-Entericnervous System કહે છે. આ બાબત વિવિધ સંશોધનો-તારણોથી પૂરવાર થઈ છે.

મગજ દ્વારા ઉત્પન્ન થતાં વિવિધ ન્યુરોટ્રાન્સમિટરની માફક નાના આંતરડામાં serotonin, dopamine,
Gamma-aminobutyrc acid ઉત્પન્ન થાય છે. આ રસાયણો મૂડની જાળવણી માટે ઉપયોગી છે.
જે બાબતોની આડઅસર મગજ પર થાય છે, તેવી જ અસર આંતરડામાં પણ થાય છે તેથી ઉલટું જેની આડઅસર આંતરડા પર થાય છે તે મગજને પણ અસર કરે છે. આથી સતત માનસિક બોજ, પરીક્ષાનો તણાવ, ખરાબ પરિણામ આવવાનો ભય કે ભવિષ્યમાં કોલેજમાં એડમિશન, નોકરી વગેરે બાબતોનો આધાર પરીક્ષામાં કેવું પરિણામ આવે તેનાં પર જ છે, તે વિચારથી મનોદૈહિક જૈવરાસાયણિક પ્રક્રિયાની આડઅસર શરીરનાં પાચન, બ્લડપ્રેશર, હ્રદયનાં ધબકારા, ઊંઘ વગેરેમાં અનિયમિતતા લાવી શકે છે.

• આયુર્વેદ શું સૂચવે છે ?

અનેક દુઃખોનો એક ઉપચાર જેવું સરળ સૂત્ર ખૂબ માર્મિક છે ‘અતિ સર્વત્ર વર્જયેત્’.
જીવન અને ભવિષ્યના સુખ-પ્રગતિ માટે આવશ્યક અભ્યાસ, પરીક્ષા ,ધંધાકીય વગેરે પ્રવૃત્તિ માટે સ્વયંની યોગ્યતા, ક્ષમતા અને નબળાઇને ધ્યાનમાં રાખી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. ક્ષમતાથી વિશેષ પ્રયત્ન કે આશા રાખી કરવામાં આવતી પ્રવૃત્તિ માત્ર ઢસરડો બની શકે છે.
સમય-શક્તિનું યોગ્ય આયોજન કરવું.
અભ્યાસ, ભૂખ-ઊંઘ-શારીરિક પ્રવૃત્તિ, રમત-ગમત-વાંચન, મ્યુઝિક-ડાન્સ-સ્વિમિંગ-યોગાસન વગેરે અનેકવિધ શરીર-મનને સક્રિય અને તાજા રાખે તેવી પ્રવૃત્તિઓ સાથે પરીક્ષાની તૈયારી કરવી.
વાયુનો પ્રકોપ દૂર કરવાં

• તાજો, ગરમ, રસાવાળો, ઘી-દુધ-છાશ-ફળ-સલાડ-વેજીટેબલસૂપ-બદામ-અખરોટ-સૂકોમેવો-ખજૂર-અંજીર યુક્ત ખોરાક નિયમિત અંતરે ખાવો.

• છાશ-ગાયનાં દુધમાંથી બનાવેલી પાતળી છાશ જમ્યા પાછી શેકેલું જીરૂ, સંચળ નાંખી પીવી.

• દશમૂલ ક્વાથ, અશ્વગંધા-પિપરીમૂળનું મિશ્રણ, ત્રિફળાચૂર્ણ વગેરેનો યોગ્ય માત્રામાં વૈદકિય સલાહ પ્રમાણે ઉપયોગ કરવો.

• બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાંસી, તગર, વચા, અર્જુન વગેરે માર્ગદર્શનમાં ઉપયોગ કરવાથી મનોદૈહિક રોગમાં ફાયદો થાય છે.

પરંતુ જે તે વ્યક્તિની પ્રકૃતિ તથા જીવનશૈલી અને જરૂરિયાત મૂજબ ખોરાક-પ્રવૃત્તિમાં આવશ્યક સૂચનોનું પાલન કરવાથી વ્યક્તિગત સાહજિક શારીરિક-માનસિક ક્ષમતાથી સ્વસ્થ રહેનાર સારૂ પરિણામ મેળવી જ શકે છે.

LEAVE A REPLY

20 − 6 =