ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે નવી દિલ્હીમાં મતદાન થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંસદસભ્યો દેશના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટી કાઢવા મતદાન કરી રહ્યા છે. ભાજપના નેતૃત્વમાં NDAએ જગદીપ ધનખડ અને વિપક્ષે માર્ગારેટ આલ્વાને મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણીમાં ધનખડનો વિજય નિશ્ચિત છે. નોમિનેટેડ સભ્યો સહિત લોકસભા અને રાજ્યસભાના કુલ 788 સભ્યો ચૂંટણીમાં મતદાન કરી શકશે. જનતા દળ (યુનાઇટેડ), YSRCP, BSP, AIADMK અને શિવસેના જેવા કેટલાંક પ્રાદેશિક પક્ષોના સમર્થન સાથે ધનખડને 515થી વધુ મત મળવાની શક્યતા છે, જ્યારે આલ્વાને આશરે 200 મત મળવાની શક્યતા છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને સમર્થન આપશે. લોકસભામાં 23 અને રાજ્યસભામાં 16 સભ્યો ધરાવતા મમતા બેનરજીના તૃણમુલ કોંગ્રેસે વોટિંગની દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાથી આ મહત્ત્વની ચૂંટણી માટે વિપક્ષ વિખવાદ છે.
80 વર્ષના આલ્વા કોંગ્રેસના પીઢ નેતા છે, જ્યારે 71 વર્ષના ધનખડ રાજસ્થાનના જાટ નેતા છે. મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયું છે સાંજે 5 વાગે પૂર્ણ થશે. ત્યાર બાદ તરત મતગણતરી થશે. અત્યારના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુની મુદત 10 ઓગસ્ટે પૂરી થાય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન પણ હોય છે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે તમામ મતદાતાઓ સંસદના બંને ગૃહના સભ્ય હોવાથી દરેક એમપીના મતનું મૂલ્ય એકસમાન રહેશે. મતદાન ગુપ્ત મતપત્ર મારફત થશે. આ ચૂંટણીમાં ઓપન વોટિંગને મંજૂરી નહીં મળે.