The International Kite Festival will be held in the state from January 8 to 14

કોરોના મહામારીને કારણે 2 વર્ષના અંતરાલ પછી ફરીથી અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા 8થી 14 જાન્યુઆરી દરમિયાન જી20ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં જી-20 દેશોના પતંગબાજો ઉપરાંત રાજદ્વારી પ્રતિનિધિઓ પણ સામેલ થશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8 જાન્યુઆરીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગબાજો જી20નો લોગો પ્રિન્ટ કરેલું ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે.

આ વર્ષે, ગુજરાતના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઊડતી જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલૅ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય)ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગનો ભાંતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં ભારતે જી20ની અધ્યક્ષતા સંભાળી છે. જી20ને એક સહભાગી કાર્યક્રમ બનાવવાના ભારતના લોકો માટે જી20નો અર્થ શું છે, તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ધ ગ્રુપ ઓફ 20 (જી20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી20ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.

LEAVE A REPLY

fifteen − 7 =