આઇપીએલની લીગ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવીને રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર વનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. રાજસ્થાન રોયલ્સે જયસ્વાલના 59 અને અશ્વિનના 23 બોલમાં અણનમ 49 રનની મદદથી ચેન્નાઈને બે બોલ બાકી હતા, ત્યારે પાંચ વિકેટે જીત મેળવી હતી. હવે 24 મે ના રોજ કોલકાતામાં રમાનારી ક્વોલિફાયર-વનમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે મુકાબલો થશે. જેમાં જે ટીમ જીતશે તે ફાઈનલમાં રમશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર-ટુમાં રમવાની તક મળશે. રાજસ્થાને જીતવા માટેના 151ના લક્ષ્યાંકને 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો.
ચેન્નાઈ સામેની જીત સાથે રાજસ્થાનના 18 પોઈન્ટ થયા હતા. જોકે તેનો રનરેટ વધુ સારો હોવાથી 18 પોઈન્ટ મેળવેલ લખનઉની ટીમને ત્રીજા ક્રમે ધકેલી હતી. હવે લખનઉ 25 મે એ એલિમિનેટરમાં રમશે, જ્યાં તેનો સામનો બેંગ્લોર કે દિલ્હી સામે થશે.