એશિયાઈ સિંહોની વસતી ધરાવતા ગીર અભ્યારણમાં આગામી મે મહિનામાં સાવજોની વસતી ગણતરી થવાની છે ત્યારે તેમાં 8000 થી 10000 કેમેરાનો ઉપોગ કરવામાં આવશે એટલું જ નહીં સાત જીલ્લાના 25000 કિલોમીટરના વિસ્તારને વસતી ગણતરીમાં આવરી લેવાશે. 2015માં 15000 કિલોમીટર વિસ્તારમાં જ વસતી ગણતરી થઈ હતી.
સાવજોની વસતી ગણતરીમાં પ્રથમ વખત વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયાના નિષ્ણાંતોને સામેલ કરાશે. વન્ય પ્રાણી નિષ્ણાંત તથા વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયુટના વિજ્ઞાની વાય.વી.ઝાલાએ કહ્યું કે સંસ્થા દ્વારા ગુજરાત સરકારને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. સિંહોની વસતી ગણતરી માટેની પ્રક્રિયા નકકી કરવા માટે બેઠકોના બે રાઉન્ડ પણ થઈ ગયા છે.
2015ની વસતી ગણતરીમાં સિંહોની સંખ્યા 523 માલુમ પડી હતી. છેલ્લા વર્ષોમાં સાવજોની સંખ્યામાં મોટો વધારો થયો હોવાનુ વન વિભાગના આંતરિક એસેસમેન્ટમાં જણાયુ છે. આ વખતની વસતી ગણતરીમાં આંકડો 1000ને વટાવી જવાની શકયતા છે.
રાજય સરકારના સૂત્રોએકહ્યું છે કે રાજકીય વાઘ સંવર્ધન સતામંડળ દ્વારા જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તે ધોરણે સાવજોની વસતી ગણતરી કરવા રાજય સરકારે સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી છે.
સૂત્રોએ કહ્યું કે સિંહોની વસતી ગણતરી માટે ત્રણ-ત્રણ કિલોમીટરના ભાગ કરવામાં આવશે. ફીલ્ડ ઓફીસરો પ્રથમ તબકકે સાવજોના વિખેરાયેલા વાળ, દાંત, નખ વગેરે એકત્રીત કરશે. 1500 થી 2000 કર્મીઓને ફીલ્ડમાં ઉતારવામાં આવશે. બીજા તબકકામાં 8000 થી 10000 કેમેરા મારફત સાવજોને કલીક કરાશે.