– લોર્ડ કરણ બિલિમોરિયા
હું 2005થી યુકેના દરેક વડા પ્રધાનો ટોની બ્લેર, ગોર્ડન બ્રાઉન, ડેવિડ કેમેરન અને થેરેસા મે સાથે ભારતના પ્રવાસે ગયો છું. આ વખતે, બોરિસ જૉન્સન અને ભારતીય બિઝનેસ લીડર્સ સાથે ભારતમાં હોવાથી, તે એક મહત્વપૂર્ણ મુલાકાત બની રહી હતી. 5 વર્ષમાં આ યુકેના વડા પ્રધાનની પ્રથમ મુલાકાત હતી, જે ખૂબ લાંબુ અંતર હતું, પરંતુ અલબત્ત આપણે ત્યાં રોગચાળો હતો.
બોરિસ જૉન્સન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને £1 બિલિયનના મૂડીરોકાણના કરારો, સમગ્ર UK અને સમગ્ર સેક્ટરમાં 11,000 નોકરીઓનું સર્જન, ઉપગ્રહોથી લઇને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સથી લઇને ઇલેક્ટ્રિક વાહનો અંગેના સહયોગની આ મુલાકાત દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આપણે તો માત્ર સપાટીને ખંજવાળી રહ્યા છીએ. કોવિડ પહેલા સામાન અને સેવાઓનો યુકે-ભારતનો દ્વિપક્ષીય વેપાર £24 બિલિયન હતો જેની સરખામણીએ ચીન સાથે યુકેનો દ્વિપક્ષીય વેપાર લગભગ £100 બિલિયનનો હતો.
અમે 2030 સુધીમાં ભારત સાથે દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક રાખ્યું છે, જો કે ભારત સાથે વાટાઘાટ કરવામાં આવતા નવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સાથે આપણે ઘણું ઘણું બધું કરવા સક્ષમ હોઇશું. આ FTA વાટાઘાટો વચ્ચે PMની મુલાકાત નિર્ણાયક અને સમયસરની હતી, વડા પ્રધાન મોદી અને ભારતના મિનિસ્ટર ફોર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પીયૂષ ગોયલ બંનેએ જણાવ્યું હતું કે તેઓ દિવાળી સુધીમાં FTA પૂર્ણ કરવામાં વિશ્વાસ ધરાવે છે. આ શક્ય પણ થવું જોઈએ, અને યુકે-ઓસ્ટ્રેલિયા અને યુકે -ન્યુઝીલેન્ડના FTAને પૂર્ણ કરવા માટે કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI) મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ઓસ્ટ્રેલિયા એફટીએ એ વિશ્વના સૌથી વ્યાપક, આધુનિક એફટીએમાંનું એક છે અને તેની વાટાઘાટો થઈ અને માત્ર એક વર્ષમાં પૂર્ણ થઈ. ભારતે માત્ર 3 મહિનાથી ઓછા સમયમાં UAE સાથે FTA પૂર્ણ કર્યું છે અને ભારતે ઓસ્ટ્રેલિયા સાથેનો વેપાર સોદો પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કર્યો છે. બંને દેશોએ બતાવ્યું છે કે તેઓ વધારે ઝડપથી વેપાર સોદાની વાટાઘાટ કરી શકે છે. જ્યાં ઇચ્છા હોય ત્યાં રસ્તો પણ હોય જ છે.
સમગ્ર સેક્ટરમાં વિકાસ માટે પુષ્કળ તકો છે. રિન્યુએબલ્સ એનર્જીમાં, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંભવિતપણે વિન્ડ ટર્બાઇનના ભાગો પર ટેરિફ ઘટાડી શકે છે. જે હાલમાં 15% જેટલા ઊંચા છે. 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાની ભારતની યોજનાઓને જોતાં આવનારા દાયકાઓમાં ઘણી બધી સફળતા મળશે. જે બ્રિટિશ બિઝનેસીસને નફો કરતી વખતે પૃથ્વીને મદદ કરવાની વાસ્તવિક તક રજૂ કરે છે. અન્ય ક્ષેત્રોમાં, માત્ર ડ્યુટી દૂર કરવાથી ભારતની નિકાસમાં £6.8 બિલિયન સુધીનો વધારો થશે, જે સમગ્ર યુકેમાં હજારો નોકરીઓને ટેકો આપશે. સ્કોચ વ્હિસ્કી પર હાલમાં 150% અને કાર પર લગભગ 100% ડ્યુટી સાથે યુકે દ્વારા નોંધપાત્ર નિકાસ કરાય છે.
બ્રિટિશ કંપનીઓ ઇનોવેશનમાં મોખરે છે. યુકેના નવીન ઉત્પાદનો માટે ભારત એક વિશાળ નિકાસ સ્થળ છે અને યુકે સાથે સંરેખિત ભારતીય ઇનોવેટીવ પ્રોડક્ટ્સ, આ ભાગીદારીને વધુ સક્ષમ બનાવી શકે છે. ભારત સાથેની સરહદો પર ડેટાના મુક્ત પ્રવાહને પ્રોત્સાહિત કરવું અને ખાતરી કરવી કે સ્થાનિકીકરણની જરૂરિયાતો યુકેના બિઝનેસીસને અદ્યતન ટેકનીકો પહોંચાડવા અને સંશોધન અને વિકાસ હાથ ધરવા સક્ષમ બનાવે છે.
યુકે પોઈન્ટ બેઝ્ડ ઈમિગ્રેશન સિસ્ટમ હવે ભારતીય કામદારો માટે અગાઉના વિઝા રૂટ કરતાં વધુ ખુલ્લી છે અને હાંસલ કરવા માટે ઘણું બધું છે. ખાસ કરીને આપણાં સેવા ક્ષેત્ર માટે, ગતિશીલતા નિર્ણાયક છે કારણ કે તેઓ ડીલને સીલ કરવામાં અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદ કરવા માટે સરહદની પેલે પારના બિઝનેસીસની હિલચાલ પર આધાર રાખે છે. બિઝનેસીસ ભારત સરકારને બિઝનેસ વિઝાનો સમયગાળો 90 થી 180 દિવસ સુધી લંબાવવા અપીલ કરશે, જેમ કે ભારત અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને આ સવલત આપે છે.
યુકેમાં રહેતા ભારતીય મૂળના 1.5 મિલિયન લોકોના જીવંત પુલનો યુકે અને ભારતને મોટો ફાયદો છે, જે યુકેમાં સૌથી સફળ વંશીય લઘુમતી સમુદાય છે.
મુલાકાત દરમિયાન, બોરીસ જૉન્સને વિઝાના સંદર્ભમાં મૈત્રીપૂર્ણ નિવેદનો આપ્યા હતા, અને સ્વીકાર્યું હતું કે યુકેમાં શ્રમિકોની અછત છે અને કુશળ ભારતીય કામદારોનું સ્વાગત અને આવશ્યકતા રહેશે. ઉદાહરણ તરીકે ભારતીય ડોકટરો અને નર્સો NHS ની કરોડરજ્જુ છે અને આપણે ત્યાં તેની મોટી તંગી છે, આગળનું માઇગ્રેશન ખરેખર મોટી મદદ કરી શકે છે. નવા 2 વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક વિઝા સાથે, યુકેમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે અને તેઓ આમ કરવાનું ચાલુ રાખશે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પહેલેથી જ 600,000 ને વટાવી ગઈ છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બાબતના જૂથ ઑલ-પાર્ટી પાર્લામેન્ટરી કમીટીના સહ-અધ્યક્ષ તરીકે – હું સૂચન કરું છું કે 2030 સુધીમાં આ લક્ષ્યાંક 1 મિલિયનનું હોવું જોઈએ અને તેમાં વધુને વધુ મોટો હિસ્સો ભારતનો હશે.
પરંતુ ટ્રેડ ડીલ એ બધાનો અંત નથી. નેટ વેપાર હાલમાં યુકેની વૃદ્ધિ પર કાપ તરીકે કામ કરી રહ્યો છે. જ્યારે યુકેમાં વિશ્વની અગ્રણી ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ છે ત્યારે હાલમાં 10 ટકાથી ઓછી બ્રિટિશ કંપનીઓ વિદેશમાં વેચાણ કરે છે. આપણી નિકાસ યુકે જીડીપીના લગભગ 27 ટકા જેટલી છે; જર્મનીમાં આ આંકડો 43 ટકા છે. આ પૂરતું સારું નથી. આ અઠવાડિયે IMF એ આગામી વર્ષ માટે યુકેના આર્થિક અનુમાનને ડાઉનગ્રેડ કર્યું છે. પુરાવા દર્શાવે છે કે ઉત્પાદકતાનું પ્રદર્શન વધારવા, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક પ્રદેશો અને ઉચ્ચ પગારવાળી નોકરીઓ ઉભી કરવા માટે નિકાસની સફળતા નિર્ણાયક છે. હવે તમામ પ્રયત્નો યુકેના વૈશ્વિક વેપાર પદચિહ્નને વિસ્તૃત કરવા પર કેન્દ્રિત હોવા જોઈએ.
બોરિસ જૉન્સનની મુલાકાતે સંરક્ષણ અને સુરક્ષા સંબંધો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે અત્યંત મહત્વપૂર્ણ છે.
ખાસ કરીને યુકેની સુરક્ષા, સંરક્ષણ, વિકાસ અને વિદેશ નીતિની તાજેતરમાં પ્રકાશિત સંકલિત સમીક્ષાને જોતાં, ઇન્ડો-પેસિફિક પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઇરાદાપૂર્વકનું વલણ દર્શાવવામાં આવ્યું હતું.
મેં સૂચન કર્યું છે કે UK એ QUAD માં જોડાવું જોઈએ – જે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસએનું બનેલું જોડાણ છે.
વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને ગતિશીલતા સંબંધો સાથે, યુકે ભારત સંબંધ કૂદકે ને ભૂસકે આગળ વધશે.
(લોર્ડ બિલિમોરિયા ક્રોસબેન્ચ પીઅર, સીબીઆઈ પ્રમુખ, કોબ્રા બીયરના ચેરમેન અને સ્થાપક છે.)