અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રવિવારે પૂર્વ પ્રેમીએ યુવતીને જાહેરમાં રોકીને છરીના ઘા ઝીંક્યાની ચકચારી ઘટના બની હતી. યુવતી ઓફિસથી છૂટીને સહકર્મીઓ સાથે ડીજે પાર્ટી માટે જઈ રહી હતી ત્યારે તેના પૂર્વ પ્રેમીએ આવીને હુમલો કર્યો હતો. આરોપીએ મહિલાને છરીના સાત ઘા ઝીંકી દીધા હતા અને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી.

નારણપુરામાં આવેલા મોલ પાસે યુવતીને અટકાવીને તેના પૂર્વ પ્રેમી અંકિત પ્રજાપતિએ છરીના ઘા ઝીંકી દીધા હતા. બનાવની વિગતો એવી છે કે, એલિસબ્રિસ રહેતી પીડિત યુવતી સ્કૂલમાં ભણતી હતી ત્યારે અંકિત સાથે થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, આ પછી તેઓ સાથે ફરતા હતા. જોકે, અંકિતના વહેમીલા સ્વભાવના કારણે છોકરી ત્રાસી ગઈ હતી અને તેણે પ્રેમ સંબંધ તોડવાનો નિર્ણય લીધો હતો.

પ્રેમ સંબંધો પર પૂર્ણવિરામ મૂકાયા પછી પણ અંકિત સતત પીછો કરતો રહેતો હતો. આવામાં જ્યારે યુવતી ડીજે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે આ આખી ઘટના બની હતી. યુવતીના સહકર્મી હર્ષિલ શાહ અને કેતન વાઘેલા તેને ઘરે લેવા માટે ગયા હતા. આ પછી યુવતી હર્ષિલના એક્ટિવા પર બેઠી હતી અને ત્રણે ડીજે પાર્ટીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન નારણપુરા અમીકુંજ રોડ પર રિલાયન્સ મૉલ પાસે આવેલા અંકિંત પ્રજાપતિએ તેમને અટકાવ્યા હતા. આ પછી અંકિતે “તે આવા છોકરા માટે મને છોડ્યો..” એમ કહીને યુવતીને લાફો મારી દીધો હતો. જે બાદ તે છરી લઈને યુવતી પર તૂટી પડ્યો હતો. જેમાં યુવતીને છાતી તથા પેટના ભાગે છરીના ઘા વાગતા તે ઘાયલ થઈ હતી. આવામાં યુવતીને બચાવવાની કોશિશ કરનારા હર્ષિલને પણ અંકિતે છરીના ઘા માર્યા હતા.આ ઘટના બાદ અંકિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો જ્યારે પીડિત યુવતી અને તેના મિત્ર હર્ષિલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધારે તપાસ શરુ કરી હતી.