પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં કોરોના નિરંકુશ બન્યો હોવાથી ઉત્તર ગુજરાતના સૌથી મોટા શહેર મહેસાણામાં 11 દિવસના લોકડાઉનનો મંગળવારે નિર્ણય લેવાયો હતો. નગરાપાલિકાના હોદ્દેદારોની વહેપારીઓ સાથે ટાઉન હોલ ખાતે યોજાયેલી બેઠકમાં મહેસાણા શહેરનું બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે એવો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણય મુજબ મહેસાણા શહેરમાં 22 એપ્રિલથી 2મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે. લોકોને તકલીફ ના પડે એટલા માટે 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો આખો દિવસ ચાલુ રહેશે.

મહેસાણામા કોરોનાના કેસો વધતાં સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું તથા ફ્રુટ અને શાકભાજીની લારીઓ પર ભીડ થતાં તેને દૂર કરવા નિર્ણય લેવાયો છે. તોરણવાડી ચોક, જૂની તાલુકા પંચાયત, મોઢેરા રોડ, વી કે વાડી, આશ્રય હોટલ, દ્વારકાપુરી ફ્લેટ અને GEB પાસે લારીઓ દૂર કરાશે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધતાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ કોરોના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. મૃતકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં શનિ-રવિવારના દિવસે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી સંક્રમણ અટકાવવા પ્રયાસો થયા છે. આમ છતાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 390 કેસ જોવા મળ્યા હતા અને તેના કારણે લોકડાઉન લાદવું પડ્યું છે. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 390 કોરોના પોઝિટિવ કેસ આવ્યા તે પૈકી શહેરી વિસ્તારમાં 172 પોઝિટિવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 218 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ છે. મહેસાણા શહેરમાં 106 પૉઝિટિવ કેસ છે અને હજુ પણ 1031 ટેસ્ટનાં પરિણામ પેન્ડિંગ છે.