ફાઇલ ફોટો i. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સાથે વિશ્વાસઘાત કરનારા ગુનેગારોને વિશ્વમાં કોઇપણ જગ્યાએ સેફ હેવન (સુરક્ષિત આશ્રય) ન મળે તે સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) અને સીબીઆઇના અધિકારીઓને તાકીદ કરી હતી.

ગુજરાતના કેવડિયા ખાતે સીવીસી અને સીબીઆઇની સંયુક્ત કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી હોય તો પણ આ દેશ અને તેના લોકોના હિતની વિરુદ્ધમાં કામ કરનાર સામે આકરાં પગલાં લેવા જોઇએ.

વિજયા માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા આર્થિક ગુનેગારોને પાછા લાવવામાં સરકાર કાનૂની જંગ લડી રહી છે ત્યારે મોદીએ નિવેદન આપ્યું છે. આ આર્થિક ગુનેગારોએ કરોડોના કૌભાંડ પછી હાલમાં વિદેશમાં શરણુ લીધું છે.

મોદીએ જણાવ્યું હતું કે તમારે યાદ રાખવાનું છે કે તમારી ભાગીદારી આ મિટ્ટી, મા ભારતી સાથે છે. આ દેશ અથવા તેના લોકો સાથે દગો દેનારા લોકોને વિશ્વમાં કોઇ પણ જગ્યાએ સેફ હેવન ન મળે તે સુનિશ્ચિત કરવું જોઇએ. વ્યક્તિ ગમે તેટલો તાકાતવર હોય તો પણ જો દેશના હિત કે આપણા લોકોના હિતની વિરુદ્ધમાં કામ કરે તો તેની સામે કડક પગલાં લેવા જોઇએ. આપણે રાષ્ટ્રીય હિતમાં આપણી કામગીરી ચાલુ રાખવી જોઇએ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લાં 6થી 7 વર્ષમાં તેમની સરકારના સખત પરિશ્રમને પગલે લોકોમાં શ્રદ્ધા જાગી છે કે ભ્રષ્ટાચારને ડામી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે “છેલ્લાં 6થી 7 વર્ષમાં અમે લોકોમાં એ વિશ્વાસ ફરી ઊભો કરી શક્યા છીએ કે દેશમાં ભ્રષ્ટાચારને અટકાવવાનું શક્ય છે. દેશના લોકોને આજે શ્રદ્ધા છે કે તેમને કોઇ પણ પ્રકારની લેતી-દેતી અથવા વચેટિયા વગર સરકારની યોજનાના લાભ મળે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર મોટો હોય કે નાનો હોય પરંતુ તેનાથી સામાન્ય વ્યક્તિ તેમના હકોથી વંચિત રહી જાય છે. તે દેશની પ્રગતિ સામે અવરોધરૂપ છે અને આપણી સામુહિક ઊર્જાને અસર કરે છે. અગાઉની સરકારોમાં ભ્રષ્ટાચારને ડામવા માટેની ઇચ્છાશક્તિ ન હતી.