વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શનિવારે શ્રી કાલિકા માતાના પુનઃવિકાસિત મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે. મંદિરનો પુનઃવિકાસ 2 તબક્કામાં કરવામાં આવ્યો છે. પુનઃવિકાસના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન વડા પ્રધાન દ્વારા આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉદ્ઘાટન કરાયેલા બીજા તબક્કાના પુનઃવિકાસનો શિલાન્યાસ 2017માં વડા પ્રધાન દ્વારા કરવામાં આવ્યો હતો. આમાં મંદિરના પાયા અને ‘પરિસર’નું ત્રણ સ્તરે વિસ્તરણ, સ્ટ્રીટ લાઇટ, CCTV સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે. વડા પ્રધાને મંદિરમાં આવવાના તેમના સૌભાગ્ય બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે આજે એ ક્ષણના મહત્વને રેખાંકિત કર્યું કે જ્યારે 5 સદીઓ પછી અને આઝાદીના 75 વર્ષ પછી પણ મંદિર પર ‘ધ્વજા’, પવિત્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આજે સદીઓ બાદ ફરી એકવાર પાવાગઢ મંદિરના શિખર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ ‘શિખર ધ્વજ’, ધ્વજ માત્ર આપણી આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતીક નથી પરંતુ આ ધ્વજ એ હકીકતનું પણ પ્રતીક છે કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પરંતુ આસ્થા શાશ્વત રહે છે.” તેમણે કહ્યું કે આગામી ‘ગુપ્ત નવરાત્રિ’ પહેલા આ પુનઃવિકાસ એ સંકેત છે કે ‘શક્તિ’ ક્યારેય મંદ કે અદૃશ્ય થતી નથી.