Getty Images)

ગુજરાતમાં 2020ના નવા શરૂ થયેલા વર્ષમાં 34,000 સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. મુખ્યપ્રધાન રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાય કાયમ રાખવાની અપીલ પણ કરી છે. નવા વર્ષના આગમનને વધાવતા સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ‘વિપક્ષ કોંગ્રેસ રાજકીય લાભ ખાટવા માટે બેરોજગારી અને પારદર્શકતાના મુદ્દે લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે.

કેટલાક સ્થાપિત હિતો દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને ગેરમાર્ગે દોરી જઈને તેમના મનમાં અસમંજસતા પેદા કરવામાં આવી છે.’ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે હું લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું કે, રાજ્યના યુવાનોની મહેનત એળે નહીં જાય. મુખ્યપ્રધાનએ પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા બુધવારે એક સંબોધનમાં આ વાત જણાવી હતી. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ‘ત્રણ વર્ષમાં અમે 1.18 લાખ યુવાનોને સરકારી નોકરી પુરી પાડી છે. ચાલુ વર્ષે વધુ 34-35 હજાર યુવાનોને અમે રોજગારી પુરી પાડીશું.

આ માટે વિવિધ જગ્યાઓ પર ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.’ રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાશનમાં (1995 પહેલા) ભરતી પર પ્રતિબંધ હતો. ભાજપની સરકારે યુવાઓ માટે સરકારી નોકરીના દરવાજા ખોલ્યા છે. તાજેતરના બિનસચિવાલય પેપર લીક કૌભાંડનો ઉલ્લેખ કરતા સીએમે જણાવ્યું કે, રદ કરાયેલી પરીક્ષા ટૂંક સમયમાં પુરતી તકેદારી સાથે ફરીથી લેવાશે. ‘અમે પરીક્ષા પારદર્શક રીતે લેવા પ્રતિબદ્ધ છીએ. અમને યુવાનો તરફથી મળેલી ફરિયાદ બાદ અમે પરીક્ષા રદા કરવાનો કલ્યાણકારી નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. હવે ફરીથી પરીક્ષાનું આયોજન કરાશે.’ બિનસચિવાલય પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં ગત સપ્તાહે પ્રિન્સિપલ અને શાળાના સંચાલકો સહિત છ લોકોની ધરપકડ કરાઈ છે. 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા સરકારે રદ કરવાની જાહેરાત કરી હતી. અંદાજે 1૦ લાખથી વધુ લોકોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં રોજગાર મેળા થકી ખાનગી ક્ષેત્રમાં 12 લાખ જેટલી રોજગારીની તક રાજ્યમાં ઉપલબ્ધ થશે. જો કે આ માટેનો ચોક્કસ સમયગાળો સીએમ રૂપાણીએ જણાવ્યો નહતો.