(PTI Photo)

1983ના વર્લ્ડકપના હીરો રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ બનશે. BCCIએ સૌરવ ગાંગુલીને બીજી વખત અધ્યક્ષ બનાવવાની ના પાડી દીધી હોવાનું માનવામાં આવે છે. જય શાહ પોતાના સચિવ પદ પર યથાવત રહેશે.  

બિન્ની ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. તેઓ હાલમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)માં પદાધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. રાજીવ શુક્લા ઉપપ્રમુખ તરીકે રહી શકે છે. ઓક્ટોબર, 2019માં BCCIના પ્રમુખ બનેલા ગાંગુલી આગામી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ તરીકે પોતાનો દાવો રજૂ કરી શકે છે. 

BCCIની ચૂંટણી 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાશે, જ્યારે 11 અને 12 ઓક્ટોબરના રોજ ઉમેદવારીપત્ર દાખલ કરી શકાશે. 13મી ઓક્ટોબરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે.  

ઓક્ટોબર 2019માં અધ્યક્ષ બનેલા સૌરવ ગાંગુલી ઈચ્છતા હતા કે તે વધુ એક કાર્યકાળ પૂરો કરે. પરંતુ આવું થઈ શક્યું નથી. બોર્ડની બેઠકમાં તેમનો વિરોધ થયો હતો. તેમની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠ્યા હતા. 

સૌરવ ગાંગુલીના ત્રણ વર્ષના કાર્યકાળનો સૌથી મોટો વિવાદ 2021માં આવ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના સુકાની રહેલા વિરાટ કોહલી સાથે તેની તકરારના સમાચાર આવવા લાગ્યા હતા. ભારતને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું હતું. વિરાટ કોહલીના બદલે અચાનક જ રોહિત શર્માને કેપ્ટનસી સોંપી દેવામાં આવી હતી. કોહલીએ ટી20 ટીમની કેપ્ટનસી છોડતી વખતે વન-ડે અને ટેસ્ટ ટીમની કપ્તાની જારી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, બીસીસીઆઈ ઈચ્છતું હતું કે વ્હાઈટ બોલ ફોર્મેટમાં એક જ કેપ્ટન રહે. તેના કારણે કોહલી પાસેથી વન-ડે ટીમની કેપ્ટનસી પણ છીનવી લેવામાં આવી હતી. 

 

LEAVE A REPLY

two × 2 =