Shikhar Dhawan
(Photo by Henry Browne/Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી શિખર ધવન અને પત્ની આયેશા મુખરજી લગ્નના આઠ વર્ષ બાદ અલગ થયા છે. પત્ની આયેશા મુખરજીએ મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર છુટાછેડાની માહિતી જાહેર કરી હતી. ધવન અને આયેશાએ 2012માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. આયેશા અને શિખર ધવન ફેસબુક દ્વારા એકબીજાની નજીક આવ્યા હતા.

શીખર ધવનની પત્ની આયેશા મુખરજીના આ બીજા લગ્ન હતા. બંને વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હોવાના અહેવાલો સમયાંતરે સામે આવતા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંને એક બીજાને અનફોલો કરી ચુકયા હતા.
બંનેને સાત વર્ષનો પુત્ર છે અને તેનુ નામ જોરાવર છે. આયેશાને પહેલા પતિથી પણ બે પુત્રીઓ છે. આયેશાએ સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, એક વખત છુટાછેડા થયા તે બાદ બીજી વખતના લગ્નમાં મારે ઘણુ સાબિત કરવાનુ હતુ. મને લાગતુ હતુ કે, છૂટાછેડા બહુ ગંદો શબ્દ છે પણ મારા ફરી છુટાછેડા થયા છે. પહેલી વખત જ્યારે મારૂ લગ્ન જીવન તુટયું ત્યારે હું ડરેલી હતી અને મને લાગતુ હતુ કે, હું નિષ્ફળ ગઈ છું. મે મારા માતા પિતાને નિરાશ કર્યા છે તેવુ પણ લાગ્યુ હતું.ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ બાદ શિખર ધવને પણ એક પોસ્ટ મુકી હતી. જોકે તેમાં છુટાછેડાને લઈને કોઈ ઉલ્લેખ નથી.

ધવનની પત્ની આયેશા ઓસ્ટ્રેલિયામાં ઉછરી છે. તેની માતા બંગાળી અને પિતા ઓસ્ટ્રેલિયન છે. તે પોતે બોક્સર રહી ચુકી છે. જ્યારે ધવને 2012માં આયેશા સાથે લગ્ન કર્યા ત્યારે તેના પરિવારજનો નારાજ હતા પણ બંનેએ પરિવારજનોને મનાવી લીધા હતા.