હરિધામ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના કથિત આપઘાતનું રહસ્ય હજી અકબંધ છે, તેવામાં હરિધામ સંકુલમાં એક વયોવૃદ્ધ સેવિકાના મૃત્યુની ઘટના સામે આવતા ફરી એક વાર પોલીસ દોડતી થઇ હતી. હરિધામ સોખડામાં બે સ્વામી વચ્ચે ગાદીના વિવાદની ભારે ચર્ચામાં છે. અગાઉ હરિધામ સંકુલમાં પ્રબોધ સ્વામી જૂથના ગુણાતીત સ્વામીએ રહસ્યમય સંજોગોમાં કથિત આપઘાત કરી લેતા અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસની ઢીલી તપાસને કારણે લાંબો સમય થયો હોવા છતાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુની ઘટના પરથી પરદો ઊંચકાયો નથી.

મીડિયા રીપોર્ટ મુજબ મળેલી મુજબ હરિધામ સંકુલમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરતા મૃદુલાબેન જયેશભાઈ શાહ નામના (ઉ.વ.82) વર્ષીય મહિલા સેવિકાનું પલંગ પરથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. મોડી રાત્રે મૃદુલાબેન આત્મીય કોલોનીમાં સેવિકાઓના નિવાસ્થાને પોતાના શયન કક્ષમાં ઊંઘતા હતા. દરમિયાન લગભગ રાત્રે 10 વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જતા માથા તેમજ મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી. મૃદુલા બેનને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પોહોચતા તેમનું મોત નીપજ્યું હોવાનું હાલ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું.તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. મૃતદેહનો કબ્જો મેળવી પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.