Former ICICI Bank CEO Chanda Kochhar granted interim bail
બોમ્બે હાઈકોર્ટે સોમવારે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને લોન છેતરપિંડીના કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા હતા (ANI Photo)

બોમ્બે હાઈકોર્ટે સોમવારે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને લોન છેતરપિંડીના કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા હતા અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની આકરી નિંદા કરી હતી. સીબીઆઈએ 23 ડિસેમ્બર, 2022 ના રોજ વિડીયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક લોન કેસના સંબંધમાં કોચરની ધરપકડ કરી હતી.

દંપતીએ તેમની ધરપકડને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવીને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં કરી હતી. બંનેએ વચગાળાના આદેશ દ્વારા જામીન પર મુક્ત થવાની માંગ કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે “અરજીકર્તાની ધરપકડ કાયદા અનુસાર ન્હોતી અને ક્રિમિનલ પિનલ કોડની કલમ 41Aનું પાલન થયું નથી.” બોમ્બે હાઇ કોર્ટે શુક્રવારે ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચરની સીબીઆઈ દ્વારા કથિત કેરગાયદે ધરપકડ મુદ્દા પર દાખલ અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

બેન્ક સાથે થયેલી કથિત છેતરપિંડીના કેસમાં આ ધરપકડો કરવામાં આવી હતી. CBIનો આરોપ છે કે ચંદા કોચરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતને 2009 અને 2011માં લોન અપાવી હતી. સીબીઆઈએ ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂત સામે ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ કર્યો છે. વેણુગોપાલ ધૂતને ICICI બેન્ક તરફથી લોન મળ્યા પછી તેમણે ન્યુપાવર રિન્યુએબલમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું અને આ રોકાણને તેમને 2012માં નોન-પરફોર્મિંગ એસેટ જાહેર કરી હતી.

મની લોન્ડરિંગ ગુનાની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી  ED પણ આ તપાસમાં જોડાઈ છે. ગયા મહિને ઈડીએ આ અંગે ધૂતની પૂછપરછ કરી હતી. અગાઉ તેમણે નુપાવર રિન્યુએબલ્સના ડિરેક્ટર મહેશ પુંગલિયાની પણ પૂછપરછ કરી હતી તેઓ ધૂતના નિકટના સાથીદાર છે. ઇડીએ ફેબ્રુઆરી 2019માં ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂત સામે કેસ દાખલ કર્યો હતો. ભૂતકાળમાં તેમના ઘરે સર્ચ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. બેન્કની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવતા 2018માં ચંદા કોચરે ICICI બેન્કમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

નવેમ્બરમાં બોમ્બે હાઈ કોર્ટે ચંદા કોચર સામે ICICI બેન્ક દ્વારા લેવાયેલા પગલાંને યોગ્ય ઠરાવ્યા હતા અને તેમને વચગાળાની રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. બેન્કે ચંદા કોચરને અપાયેલું બોનસ તથા રિટાયરમેન્ટના લાભો પરત માંગ્યા હતા.ICICI બેન્ક સાથે છેતરપિંડીનો કેસ એ કોર્પોરેટ જગતમાં સૌથી જાણીતા કૌભાંડોમાં એક ગણવામાં આવે છે. ચંદા કોચર એક સમયે કોર્પોરેટ જગતમાં ટોચનું સ્થાન ધરાવતા હતા, પરંતુ આ કેસના કારણે તેમણે પદ અને પ્રતિષ્ઠા બંને ગુમાવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

two + eighteen =