Ramakatha is a vision of our life

પૂ. મોરારિબાપુ

તમે જાણો છો આ ગ્રંથના સાત કાંડ છે. તેમાંના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ એ છ કાંડમાં જીવનની સમસ્યાઓને ચરિતાર્થ કરી છે, જીવનના સંઘર્ષોને લોકની સામે રજૂ કર્યા છે. ભગવાન રાઘવને અને એના પરિવારને માધ્યમ બનાવીને. જે સમસ્યાઓ, જે સંઘર્ષો, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં દરેક કાળમાં આવી છે, આવતી રહી છે, આવતી રહેવાની છે. ઉત્તરકાંડમાં તેના બધા જ જવાબો તુલસીદાસજીએ તૈયાર કરીને આપી દીધા છે. તો એવો એક મહાન ગ્રંથ… જે સમસ્યા પણ બતાવે છે, મારામાં અને તમારામાં પડેલી સમસ્યાઓને ખોલે છે અને તેનું સંપૂર્ણ સમાધાન પણ આપે છે. અદ્દ્ભુત સમાધાન આપે છે. તો એવા મહાન ગ્રંથનું પારાયણ… સત્સંગ આજથી શરૂ થઈ રહ્યું છે.

રામાયણને સંતોએ ત્રણ ભાગમાં વહેંચી છે. પ્રત્યે વ્યક્તિના જીવનમાં ત્રણ ભાગ હોય છે. આ કથા કેવળ વાર્તા નથી, કેવળ ઈતિહાસ નથી, આ કથા મારા અને તમારા જીવનનું દર્શન છે. અયોધ્યાના મહાત્માઓ તો એમ કહે છે કે, બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય અને ઉત્તરનો અંત જે બરાબર સમજે એ પૂરો સાધુ. આવી એક વ્યાખ્યા છે. રામાયણના તત્વજ્ઞાનને પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. રામકથાનો આરંભ સંશયથી-શંકાથી થાય છે; સવાલ છે, પ્રશ્ન છે. રામાયણનો મધ્ય સમાધાન છે. અને રામાયણનો અંત જીવની રાઘવની શરણાગતિ છે. સંશયના સમાધાન અને શરણાગતિમાં મને અને તમને દોરી જતો આ ગ્રંથ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સંશયોનું પ્રતિનિધિત્વ કરે છે.

મારા અને તમારા જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન એમાં છે. પૂર્ણ સમાધાન છે. અને એમ કરતાં કરતાં અંતે જે પામવાનું છે તે ઈશ્વરની શરણાગતિ તરફ આપણને દોરી જાય છે. મને એવું લાગે છે તેથી કહું છું કે, ‘દોરી જતો’ એટલે આગળ આગળ ચાલે અને આપણે એને પગલે પગલે ચાલીએ એવી દોરવણી રામાયણ નથી આપતી. તે એવું માર્ગદર્શન પણ નથી કરતી કે કોઈ આંગળી ચીંધે ને આપણેત્યાં જઈએ. કોઈ ઊભા ઊભા નક્શો કરીને બતાવી દે કે આમ જજો ને તેમ જજો; એવું માર્ગદર્શન રામાયણ નથી આપતી. પણ મારી અને તમારી આંગળી પકડીને તે લઈ જાય છે. કેવળ માર્ગદર્શક નહિ, હમરાહી હૈ-હમસફર હૈ. જેણે રામાયણની ચોપાઈ પકડી છે, તેનું ચિંતન કરતાં કરતાં તે સીધો અંતર્મુખ થઈ ને જોશે તો લાગશે કે રામાયણ મારો હાથ પકડીને મને લઈ જાય છે. રામકથા વ્યક્તિનો હાથ પકડે છે અને ઈશ્વરની શરણાગતિ સિદ્ધ કરી આપે છે, વિશ્રામ સુધીની યાત્રા સંપન્ન કરાવે છે. અને ગોસ્વામીજીને એ વિશ્રામ મળ્યો છે. એનો અર્થ એ કે હું અને તમે પ્રયાસ કરીએ તો વિશ્રામ મળે. કોઈને મળ્યું એનો અર્થ મેળવી શકાય એવું છે. થોડું કઠિન હશે,પણ મેળવી શકાય એવું તો છે જ.

જાકી કૃપા લવલેસ તે મતિમંદ તુલસીદાસહૂઁ |
પાયો પરમ બિશ્રામુ રામ સમાન પ્રભુ નાહીં કહૂઁ ||

ગોસ્વામીજી કબૂલ કરે છે, અનુભૂતિ આલેખે છે કે થોડીક કૃપા થઈ-લવલેશ, તો પાયો પરમ વિશ્રામ. એની કૃપા કંઈ લવલેશ થોડી છે ? એ તો અસીમ છે, એ તો કૃપાના સિંધુ છે. જો વધારે થાય તો જીવનું શું થાય, કલ્પવું કઠિન છે !
પરમ વિશ્રામપદને આપનારી આ કથા મારો ને તમારો હાથ પકડીને રામ સુધી લઈ જનારું શાસ્ત્ર છે. નીતિ, પ્રમાણિકતા અને સત્ય સુધી ખેંચી જનારું એ શાસ્ત્ર છે. હાથ પકડે અને જરાય આડાઅવળા થવા ન દે. આગળ વધીને કહીએ તો આ એક એવો ગ્રંથ છે, એવું શાસ્ત્ર છે, જે સંશયનું કેવળ સમાધાન જ નથી આપતું પણ સમાજના જે પ્રશ્નો છે, જે સવાલો છે, તે ઊભા જ ન થાય તેવી ભૂમિકાનું નિર્માણ પણ કરે છે. જે પ્રશ્નો ઊભા થાય તેનું નિરાકરણ જરૂરી છે, રોગ ઊભા થાય તેની ઔષધિ મળે તે જરૂરી છે. પણ આજે સમાજને વધુ જરૂર એ છે કે રોગ ઉત્પન્ન જ ન થાય, સમસ્યાની બુનિયાદ ખલાસ થઈ જાય.

રામાયણ આ બુનિયાદને તોડે છે. સવાલ પેદા જ ન થવા દે એવી એ ઔષધિ છે, એવું શાસ્ત્ર છે કે કોઈ સમસ્યા પેદા હી ન હો. રામકથા બધાંને ખબર છે. નાના નાના બાળકો જાણે છે કે રામકથામાં શું આવે છે, શું ઘટના ઘટે છે,પરંતુ આ કથા છતાં વારેવારે કહેવામાં આવી રહી છે, સંભળાઈ રહી છે, એનાં આયોજન થતાં રહે છે. આખિર એ કથામાં શું છે કે વારંવાર સાંભળવા માટે લોકો લાલાયિત રહે છે. એ જ એનું પ્રમાણ છે કે આ કથા એક પરમ સત્ય છે વિશ્વનું અને તેથી વારંવાર આપણે એનું ગાન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ. નવ દિવસ સુધી આ શાસ્ત્રનું ગાન કરવાનું છે. અને ગાતા ગાતા, શ્રવણ કરતાં કરતાં આપણા જીવનના કાંડોને તપાસવાના છે. ‘રામચરિતમાનસ’નું અકાટ્ય સૂત્ર છે કે સત્સંગ ભગવાનની કૃપા વગર શક્ય નથી. ગોસ્વામીજી ‘માનસ’માં બોલ્યા છે:-

बिनु सत्संग बिबेक न होई I
रामकृपा बिनु सुलभ न सोई II

તો, આ સિદ્ધ સિદ્ધાંત છે કે ભગવાનની કૃપા વગર સત્સંગ સુલભ નથી. રામકથા, ભગવદકથા સત્સંગ છે ને એ ભગવાનની કૃપા વગર શક્ય નથી. એટલે આ આખો કાર્યક્રમ જે કંઈ યોજાયો, શરુ થયો અને સંપન્ન થશે ભગવદ કૃપાથી. એ પુરુષાર્થ કે પ્રારબ્ધનું પરિણામ નથી, આ કેવળ ભગવાનની કૃપાનું પરિણામ છે. ભગવાન જ્યારે દ્રવીભૂત થાય, ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે ! અથવા તો બીજા અર્થમાં કહેવું હોય તો તુલસીદર્શનમાં એમ કહી શકાય કે ભગવાનની કૃપા એ બીજું કઈ નથી, ઈશ્વરનું દ્રવીભૂત રૂપ છે. તમને સત્સંગ મળે, ત્યારે એમ નહિ માનશો કે તમને સત્સંગ મળ્યો, એમ માનશો કે ભગવાન પીગળેલી હાલતમાં મળ્યા છે ! પ્રવાહી રૂપમાં પરમાત્મા તમને મળ્યા છે. પરમાત્માની કૃપા એ ભગવાનનું દ્રવીભૂત સ્વરૂપ છે. આપણા બધાંના અનુભવમાં છે-જગતમાં બે રસ્તા છે. એક પ્રારબ્ધ ને બીજો પુરુષાર્થ. ઘણી વાર માણસને પ્રારબ્ધને લીધે ઘણું મળે, પણ એનો પુરુષાર્થ બરાબર ન હોય તો બધું વેડફાઈ જાય. અવળો માર્ગ હોય, સીધો-સાદો ન હોય, વામ માર્ગી બની જાય માણસ, તો પ્રારબ્ધથી મળેલું ખલાસ થઈ જાય ! ઘણી વખત માણસ પુરુષાર્થથી મેળવતો હોય છે, ખુબ પુરુષાર્થ કરે અને પ્રાપ્ત કરે પણ પ્રારબ્ધ નબળું હોય તો બધું જતું રહે. સત્સંગ નથી પુરુષાર્થથી મળતો, નથી પ્રારબ્ધથી મળતો. કોઈ દિવસ ભ્રાંતિમાં ન રહેશો. સત્સંગ કેવળ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.

રામકથા તમે ખૂબ શ્રવણ કરી છે. રામકથાના તમે ખૂબ રસિક છો એટલે કે તમે ખૂબ પરિચિત છો રામાયણથી અને એમાંયે કથા તો મારું જીવન છે. મેં કેટલીયે વાર કહ્યું છે કે મારો શ્વાસ છે એના પર જ તો જીવું છું. પણ કથાને નિમિત્ત બનાવીને બાપ, હું તમને મળવા આવ્યો છું ! આ બહાને નવ દિવસ હું તમને જોઈ શકું, તમારી સાથે વાતો કરી શકું. અહીંયા તો ભગવાનની કૃપાથી બહુ સારું વાતાવરણ છે, પણ હજી જેમ જેમ આગળ જઈએ છીએ, અમરિકા જેવા દેશોમાં એક વસ્તુ ચોક્કસ કે આ યુવાન પેઢીને સત્સંગ ન મળ્યો હોત તો આ પેઢી હાથમાંથી જતી રહેતે, આ સત્યનો ઇન્કાર થઈ શકે એમ નથી. એમાં કોઈ વ્યક્તિનું યોગદાન એ વાત નથી. તત્વ ને સત્વના યોગદાને કામ કર્યું છે. સંકલન : જયદેવ માંકડ
(બાલકાંડ,૧૯૮૪)

LEAVE A REPLY

two × four =