Vikram Doraiswamy

ભારત સરકારે મંગળવારે (23 ઓગસ્ટ) દેશના યુકે ખાતેના હાઈ કમિશનરપદે પીઢ રાજદૂત વિક્રમ કે. દોરાઈસ્વામીની નિમણુંક કરી હતી. હાલમાં ભારત અને યુકે વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ને વધુ મજબૂત બની રહ્યા છે ત્યારે આ પદ ખૂબ જ મહત્ત્વનું મનાય છે.

1992ની બેચના આઈએફએસ અધિકારી વિક્રમ દોરાઈસ્વામી હાલમાં બંગલાદેશ ખાતેના ભારતીય હાઈ કમિશનરપદે સેવારત છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેઓ નવા પદની કામગીરી ટુંક સમયમાં સંભાળી લેશે. દોરાઈસ્વામીની બંગલાદેશમાં ભારતીય હાઈ કમિશનરપદે ઓક્ટોબર 2020માં વરણી કરાઈ હતી અને ત્યારથી બન્ને પડોશી દેશો વચ્ચેના સંબંધો વઘુ ઘનિષ્ઠ બન્યા છે.

તેમના પુરોગામી, સુશ્રી ગાયત્રી ઈસ્સર કુમાર 30મી જુનના રોજ વય અનુસાર સેવાનિવૃત્ત થયા હતા.

દોરાઈસ્વામી 1992માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા તે પહેલા તેમણે એક વર્ષ પત્રકારત્વ કર્યું હતું. MEA અનુસાર, તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. 1992-1993 દરમિયાન નવી દિલ્હીમાં તેમની ઇન-સર્વિસ તાલીમ પૂર્ણ કર્યા પછી, દોરાઈસ્વામીને મે 1994માં હોંગકોંગમાં ભારતીય દૂતાવાસમાં થર્ડ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા હતા. જ્યાં તેમણે હોંગકોંગની ચાઇનીઝ યુનિવર્સિટીમાંથી ન્યૂ એશિયા યેલ-ઇન-એશિયા લેંગ્વેજ સ્કૂલમાંથી ચાઇનીઝ ભાષામાં ડિપ્લોમા પૂર્ણ કર્યો હતો.

સપ્ટેમ્બર 1996માં, તેમની નિમણૂક બેઇજિંગમાં ભારતીય દૂતાવાસમાં કરાઇ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ સુધી સેવા આપી હતી. 2000માં તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં પાછા ફરતા તેમને પ્રોટોકોલના ડેપ્યુટી ચીફ (સત્તાવાર) તરીકે નિયુક્ત કરાયા હતા. બે વર્ષ પછી તેમને વડા પ્રધાનના કાર્યાલયમાં બઢતી અપાઇ હતી અને પછીથી તેમણે ભારતના વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.

2006માં, દોરાઈસ્વામીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં રાજકીય સલાહકાર તરીકે અને ઓક્ટોબર 2009માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ભારતના કોન્સલ જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

જુલાઈ 2011માં, દોરાઈસ્વામી નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં પાછા ફરતા તેમણે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) વિભાગનું નેતૃત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ માર્ચ 2012માં નવી દિલ્હીમાં ચોથી BRICS સમિટના સંયોજક પણ હતા.

ઓક્ટોબર 2012થી ઓક્ટોબર 2014 સુધી, દોરાઈસ્વામી વિદેશ મંત્રાલયના અમેરિકા વિભાગમાં સંયુક્ત સચિવ હતા. એપ્રિલ 2015માં કોરિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ ઓક્ટોબર 2014માં ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત બન્યા હતા. તેઓ જુલાઈ 2018માં હેડક્વાર્ટરમાં પાછા બાદ બાંગ્લાદેશ અને મ્યાનમાર વિભાગના વડા બનાવાયા હતા.

એપ્રિલ 2019માં, તેમને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે વિદેશ મંત્રાલયમાં એક નવો વિભાગ સ્થાપવાનું કામ સોંપાયું હતું. ડિસેમ્બર 2019 માં પ્રમોશન પછી, તેમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સમિટ માટે અધિક સચિવ તરીકે નિયુક્ત કરાયા હતા.

વિક્રમ દોરાઈસ્વામી વાંચન, રમતગમત, ફિટનેસ, મુસાફરી અને જાઝ સંગીતમાં રસ ધરાવે છે. તેઓ ચાઈનીઝ, ફ્રેન્ચ અને કોરિયન ભાષામાં અસ્ખલિત છે.