
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11મા વર્ષની સોમવાર, 9 જૂન 2025ના રોજ ઉજવણી કરાઈ હતી. નરેન્દ્ર મોદીએ 9 જૂન, 2024ના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાનપદે શપથ લીધા હતાં અને મોદી સરકારને 11 વર્ષ પૂરા થયા હતાં. સરકારની 11મી વર્ષગાંઠ નિમિત્તે એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 11 વર્ષ સકારાત્મક પરિવર્તન માટે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.
બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે દેશની લોકશાહી, અર્થતંત્ર અને સામાજિક માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
નડ્ડાએ જણાવ્યું હતું કે મોદીએ પડકારોનો સામનો કરીને સરકારને જવાબદાર અને પ્રતિભાવશીલ બનાવી હતી તથા કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ શાસનના 10 વર્ષના “કૌભાંડો, વિભાજનકારી રાજકારણ, તુષ્ટિકરણ અને એકંદર નકારાત્મકતાનો અંત લાવ્યો હતો. નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે અને તેનો આગામી પૂર્ણ કાર્યકાળ પણ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ‘વિકસિત ભારત’નો પાયો નાખ્યો છે, અને ભારત લોકોની ભાગીદારીથી તેના લક્ષ્યો પ્રાપ્ત કરવાના માર્ગ પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.
દિલ્હી યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર મનોજકુમાર માને છે કે, રાજકારણમાં હંમેશા તક અને પડકાર સાથે જ હોય છે. જો કે વડાપ્રધાનપદે મોદી છે ત્યાં સુધી તેમનો કોઈ વિકલ્પ હોય એમ જણાતું નથી. ઓપરેશન સિંદૂર બાદ રાષ્ટ્રહિતમાં કામ કરનારા નેતા તરીકેની તેમની છાપ વધુ સુદૃઢ થઈ છે. વિપક્ષનું રાજકારણ જાતિ આધારિત વસતી ગણતરી અને બંધારણ સામે જોખમ જેવાં મુદ્દાઓ આસપાસ ફરતું રહ્યું છે.
X પરની એક પોસ્ટમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે સરકારે આ 11 વર્ષોમાં બંધારણના દરેક પાના પર ફક્ત સરમુખત્યારશાહીની શાહી લગાવી છે. ભાજપ-આરએસએસે દરેક બંધારણીય સંસ્થાને નબળી પાડી છે અને તેમની સ્વાયત્તતા પર હુમલો કર્યો છે. નફરત, ધમકીઓ અને ભયનું વાતાવરણ ફેલાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.
