ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 769 વધી 6,000ના આંકને વટાવી ગઈ હતી. કેરળ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતાં, જ્યારે ગુજરાત કોરોનાના કેસના સંદર્ભમાં બીજા ક્રમે રહ્યું હતું. આ પછી પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે, એમ રવિવાર, 8 જૂનના આરોગ્ય મંત્રાલયના ડેટામાં જણાવાયું હતું. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી 65 લોકોના મોત નોંધાયા છે. 22 મેના રોજ દેશમાં કુલ 257 સક્રિય દર્દીઓ હતાં.
કોવિડના વધતા કેસોને કારણે કેન્દ્ર સુવિધા-સ્તરની તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ કરી રહ્યું છે અને તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં 6,133 સક્રિય કોવિડ કેસ છે અને છેલ્લા 24 કલાકમાં છ વધુ મૃત્યુ નોંધાયા છે.
કોવિડની સ્થિતિ અને તૈયારીના પગલાંનું મૂલ્યાંકન કરવા માટે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. સુનિતા શર્માની અધ્યક્ષતામાં 2 અને 3 જૂનના રોજ શ્રેણીબદ્ધ ટેકનિકલ સમીક્ષા બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇમરજન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ સેલ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, દિલ્હીની કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
