ઉત્તરાખંડના સરહદી પિથોરાગઢ જિલ્લાની વ્યાસ ઘાટીમાં આવેલા આદિ કૈલાશની યાત્રા 8 મેના રોજ રાજ્યના ત્રણ સ્થળોએથી શરૂ થશે. યાત્રાની નોડલ એજન્સી ‘કુમાઉ મંડલ વિકાસ નિગમ લિમિટેડ’ (KMVN)ના જનરલ મેનેજર વિજયનાથ શુક્લાએ જણાવ્યું કે હલ્દવાની, ટનકપુર અને ધારચૂલાથી શ્રદ્ધાળુઓના કુલ 15 ગ્રુપ આ યાત્રા કરશે.
યાત્રાનો પ્રથમ તબક્કો 10 જૂને પૂર્ણ થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ દર વર્ષે લગભગ 2,000 શ્રદ્ધાળુઓ આદિ કૈલાશ યાત્રા પર આવતા હતા. પરંતુ વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની મુલાકાત લીધા પછી પ્રવાસીઓની સંખ્યા વધીને 28,000 પર પહોંચી ગઈ હતી. ગત વર્ષે આ આંકડો 36,000 ને પાર કરી ગયો હતો. આ વખતે તેનાથી પણ મોટી સંખ્યામાં યાત્રીઓ આવવાની સંભાવના છે.













