અમદાવાદના સ્મશાનગૃહમાં 19 એપ્રિલ 2021ના રોજ કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમક્રિયા કરવામાં આવી હતી. (PTI Photo)

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે મંગળવાર, 20 એપ્રિલ, 10 દિવસ માટે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામા આવ્યો હતો. વલસાડ જિલ્લાના ધારાસભ્યો અને વેપારી આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં કોરોનાના કેસોમાં જંગી વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ અને સુરતની સ્થિતિ કપરી છે.

વલસાડના કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી કે જેમાં વલસાડ જિલ્લાના વેપારી મંડળ, ધારાસભ્ય અને અન્ય બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વ સંમતિથી વલસાડ જિલ્લાને 10 દિવસ માટે સ્વૈચ્છિક રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન વલસાડ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે મેડિકલ અને દૂધ, શાકભાજીની દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.