ગુજરાતના ભાવનગર જિલ્લામાં, મંગળવાર, ૧૭ જૂન, ૨૦૨૫ના રોજ વરસાદ પછી પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. (PTI Photo)

ગુજરાતમાં મંગળવાર, 17 જૂને સતત બીજા દિવસે ભારે વરસાદ પડતાં કેટલાંક જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને કારણે ભાવનગર જિલ્લાની તમામ સ્કૂલોમાં બુધવાર, 18 જૂને રજા રાખવાની જાહેરાત કરાઈ હતી. બોટાદ જિલ્લામાં 9 લોકો સાથે ઇકો વાન તણાઈ જતાં 2ના મોત થયા હતા અને 5 લાપતા બન્યાં હતાં.

ભાવનગર જિલ્લાના ગઢડામાં લગભગ 14 ઇંચ, પાલિતાણામાં લગભગ 12 ઇંચ, શિહોરમાં 11.6 ઇંચ, જેસરમાં 10.7 ઇંચ અને ઉમરાળામાં 10.4 ઇંચ વરસાદ જેટલા ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજ્યના કુલ 62 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 128 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી અને બફારા પછી આવેલા વરસાદથી લોકોને રાહત થઈ હતી, પરંતુ કેટલીક જગ્યાએ મુશ્કેલી પણ ઊભી થઈ હતી.

આ ઉપરાંત 24 કલાકમાં બોટાદમાં 11, સાવરકુંડલામાં 10, મહુવામાં 9 ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. આ ઉપરાંત રાજુલામાં 7.4, અમરેલી 6.8, લીલીયા 6.7, વલભીપુર 6.3, ચોટીલા 6.2, તળાજા 6.1, ગારિયાધાર 5.9, વિંછીયા 5.8, હાંસોટ 5.4, મોરબી 4.9, બાબરા 4.9 વરસાદ પડ્યો હતો.

મોટાભાગના સ્થળોએ, ટૂંકા ગાળામાં 3 ઇંચ વરસાદથી પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડેલા સ્થળોમાં ખાંભા, ટંકારા, જસદણ, ચૂડા, સાયલા, થાનગઢ, મૂળી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકો, હળવદ, ભાવનગર, વાગરા, જેતપુર, ઓલપાડ, અંકલેશ્વર, લાઠી, માંડવી (કચ્છ) અને કુંકાવાવ વાડિયાનો સમાવેશ થાય છે.

અસહ્ય ગરમી અને બફારા પછી ગુજરાતમાં સોમવાર, 16 ફેબ્રુઆરીએ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સોમવાર સવારના રોજ પૂરા થયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 130 તાલુકાઓમાં 9 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. 26 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગયા સપ્તાહે રાજકોટ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ નોંધાયો હતો.

સોમાવારે મધ્ય ગુજરાતમાં ડભોઈ અને વડોદરામાં આશરે છ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સંખેડામાં 4.9 ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના ઉમરપાડા, ઉમરગામ અને ડાંગ-આહવામાં ૩.૪ ઇંચ વરસાદ પડ્યો હતો.

 

LEAVE A REPLY