ભારતમાં ગેસ સિલિન્ડરની અછત ઊભી થઇ છે. એક તરફ સામાન્ય લોકો લાંબી લાઈનોમાં ઊભા છે, તો બીજી તરફ જમાખોરો મોટી સંખ્યામાં સિલિન્ડરો છુપાવીને રાખ્યા છે. એ દરમિયાન સરકાર આવા જમાખોરો સામે સતત કાર્યવાહી કરી રહી છે અને અત્યાર સુધી હજારો સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ભારતમાં એલપીજીનું સંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. જોકે ભારત સરકાર વારંવાર લોકોને પેનિક બુકિંગ ન કરવા અપીલ કરી રહી છે. તેમ છતાં ગેસ એજન્સીઓ અને ગોડાઉન બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણા લોકો નોકરીમાંથી રજા લઈને સવારે જ લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ સાંજ સુધીમાં પણ ઘણા લોકોને સિલિન્ડર મળતો નથી. સરકાર કાળાબજારી અને જમાખોરી સામે કડક વલણ અપનાવી રહી છે. દરેક રાજ્યમાં પોલીસ અને તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. મોંઘા ભાવમાં સિલિન્ડર વેચનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જેલ સુધી મોકલવામાં આવી રહ્યા છે. અનેક હોટેલ અને રેસ્ટોરાં હવે ઇન્ડક્શન અથવા કોલસાના સહારે કામ ચલાવવા મજબૂર બન્યા છે. સંકટના સમયે લાભ લેવા પ્રયત્ન કરનારાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે અને એલપીજી સિલિન્ડરની કાળાબજારી તથા જમાખોરી પર સરકારની કડક નજર છે. મુંબઈથી લઈને ઉત્તર પ્રદેશ સુધી એલપીજી સંગ્રહ કરીને રાખનારા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે.












