
મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા પછી ભારતનું બીજું LPG કેરિયર ‘નંદા દેવી’ મંગળવારે ગુજરાતના વાડીનાર બંદરે સુરક્ષિત રીતે પહોંચ્યું હતું. આ માલવાહક જહાજમાં આશરે 46,500 મેટ્રિક ટન ગેસ છે. પહેલું જહાજ ‘શિવાલિક’ સોમવારે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું.
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે ‘નંદા દેવી’ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર પર ડોક થઈ ગયું છે અને LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ)ને ઉતારવાની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી.
ગુજરાતના પ્રધાન જીતુ વાઘાણીએ રાજ્ય વિધાનસભામાં સોમવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વ નેતાઓ સાથેના મજબૂત રાજદ્વારી સંબંધોને કારણે પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે LPG કેરિયર શિવાલિક હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત રીતે મુન્દ્રા બંદર પર પહોંચી ગયું હતું. ઈરાન, ઇઝરાયલ અને અન્ય દેશો સાથે સંકળાયેલા વૈશ્વિક અશાંતિ અને તણાવ છતાં જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે.
ભારત તેની ક્રૂડ ઓઇલની લગભગ 88 ટકા, કુદરતી ગેસની 50 ટકા અને LPGની 60 ટકા જરૂરિયાત આયાત મારફત પૂરી કરે છે. 28 ફેબ્રુઆરીએ ઇરાન પર યુએસ-ઇઝરાયલના હુમલા અને તેહરાનના બદલો પહેલાં ભારતની અડધાથી વધુ ક્રૂડ આયાત, લગભગ 30 ટકા ગેસ અને 85-90 ટકા LPG આયાત સાઉદી અરેબિયા અને UAE જેવા મધ્ય પૂર્વના દેશોમાંથી થતી હતી.
આ સંઘર્ષને કારણે ગલ્ફ એનર્જી સપ્લાય માટેનો મુખ્ય ટ્રાન્ઝિટ રૂટ હોર્મુઝ સ્ટ્રેટની ઇરાને નાકાબંધી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં, પશ્ચિમી પર્સિયન ગલ્ફમાં 611 ખલાસીઓ સાથે 22 ભારતીય ધ્વજવાળા જહાજો ફસાયેલા છે અને તેમના માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે.











