ગુજરાતમાં એલપીજી (રાંધણ ગેસ)ની અછતના અહેવાલો વચ્ચે રાજ્ય સરકારે ઈંધણ પુરવઠો સતત ચાલુ રહે તે માટે એલપીજી સપ્લાયમાં સામાન્ય સાપ્તાહિક વિતરણ કરતાં લગભગ 20 ટકાનો વધારો કર્યો હતો. આ ઉપરાંત નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શનને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે સ રકારે કેટલાંક ક્ષેત્રો માટે કોમર્શિયલ એલપીજીના સપ્લાયમાં મર્યાદા નિર્ધારિત કરી છે.
રેસ્ટોરાં, રોડ પરની ખાણીપીણીની દુકાનો, હોટલ, કોર્પોરેટ અને ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ સહિત અર્ધ-આવશ્યક ક્ષેત્રોને 10 ટકાની મર્યાદામાં કોમર્શિયલ LPG મળશે. ઓછામાં ઓછા એક વર્ષથી દૈનિક ભોજન પીરસતી ધાર્મિક સંસ્થાઓને 10 ટકાની મર્યાદામાં કોમર્શિયલ LPG મળશે.
સોમવારે રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના વધારાની મુખ્ય સચિવ મોના ખંધારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજ્યમાં એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે ચાલુ છે. ઘરેલું કે વ્યાવસાયિક ઉપયોગ માટે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જિલ્લા ટીમો, પોલીસ તંત્ર, તેલ માર્કેટિંગ કંપનીઓ અને રાજ્ય સ્તરની ટીમો સતત સંકલન કરીને એલપીજી પુરવઠો અટકે નહીં તેની ખાતરી કરી રહી છે. એજન્સીઓ પાસે બફર સ્ટોક પણ વધારવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જ્યાં સિટી ગેસ નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં હોટેલ અને રેસ્ટોરન્ટોને PNG કનેક્શન લેવાની મંજૂરી આપી છે. PNG કનેક્શન ઘરેલું તેમજ વ્યાવસાયિક બંને ઉપયોગ માટે તરત ઉપલબ્ધ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સલાહ આપી છે કે જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક કાર્યરત છે ત્યાં PNGને પ્રાથમિકતા આપવામાં આવે. આ માટે જિલ્લા કલેક્ટરો અને પુરવઠા અધિકારીઓને ગેસ કંપનીઓ સાથે સંકલન કરીને લોકોને LPGમાંથી PNGમાં ટ્રાન્સફર કરવા પ્રોત્સાહન અપાઈ રહ્યાં છે. આવશ્યક ક્ષેત્રો જેમ કે હોસ્પિટલો, સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને તેમની માંગ મુજબ 100 ટકા એલપીજી પુરવઠો આપવામાં આવ્યો છે. ઉપરાંત વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને મધ્યાહન ભોજન જેવી સરકારી યોજનાઓ માટે પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે.
ફાર્માસ્યુટિકલ અને ડેરી ઉદ્યોગ, બીજ પ્રોસેસિંગ યુનિટ્સ તથા એરલાઇન અને રેલવે કેન્ટીનને PNG નેટવર્ક ન હોય ત્યાં સામાન્ય સપ્લાયના 70 ટકા સુધી કોમર્શિયલ એલપીજી આપવામાં આવશે. જ્યારે રેસ્ટોરન્ટ, ઢાબા, હોટેલ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને PNG ન હોય ત્યાં 10 ટકા મર્યાદામાં એલપીજી મળશે.
કેન્દ્ર સરકારે પૂરક ઈંધણ તરીકે કેરોસીન પણ ફાળવ્યું છે. ગુજરાતને 1,452 કિલોલિટર કેરોસીન ફાળવાયું છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂર મુજબ પ્રતિ પરિવાર પાંચ લિટર અને સંસ્થાઓને 25 લિટર સુધી આપવામાં આવશે.













