મહારાષ્ટ્રના વનપ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રિલાયન્સ ફાઉન્ડેશનને ગુજરાતના જામનગરમાં આવેલા તેમના વનતારા કેન્દ્રમાં દીપડાઓને સમાવવા માટે અનુરોધ કર્યો હતો અને 25 દીપડાને ત્યાં પહેલાથી જ સ્થળાંતરિત કરાયા છે.
વિધાનપરિષદમાં તેમણે જણાવ્યું હતું કે 10 વર્ષમાં દીપડાઓની વસ્તી ચાર ગણી વધી છે. વનતારામાં 25 દીપડા મોકલવામાં આવ્યા છે. પુણે જિલ્લામાં 150 દીપડા પકડાયા હોવાથી અમે દીપડાઓને લઈ જવાની વિનંતી કરી હતી. રાજ્ય સરકારે 50 દીપડાઓને વનતારામાં સ્થાનાંતરિત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
વન્યજીવ સંરક્ષણ કાયદામાં સુધારો કરવા પાછળનું કારણ સમજાવતા નાઈકએ કહ્યું હતું કે હાલ માનવ-દીપડા વચ્ચેના સંઘર્ષના કેસોમાં વધારો થયો છે. આવા કિસ્સામાં કેન્દ્ર સરકારની મંજૂરી વિના ટ્રાન્સલોકેશન અથવા સંખ્યાનિયંત્રણ જેવા પગલાં લેવા મુશ્કેલ બને છે. આ પ્રક્રિયા લાંબી અને જટિલ હોવાથી દીપડાઓના સ્થળાંતરમાં વિલંબ થાય છે. નવા સુધારા પછી રાજ્ય સરકારની મંજૂરીથી મુખ્ય વન્યજીવ વોર્ડન જરૂરી પગલાં લઈ શકશે.
નાઈકએ વધુમાં જણાવ્યું કે રાજ્યના દરેક જિલ્લામાં દીપડા અને વાઘ માટે સફારી પાર્ક શરૂ કરાશે. તેમણે સ્પષ્ટતા કરી કે કાયદામાં થયેલા સુધારા અંગે ગેરસમજ ફેલાઈ છે અને કોઈને પણ દીપડાઓને મારવાની મંજૂરી આપવામાં નહીં આવે.












