
ગુજરાત વિધાનસભાએ મંગળવાર, 24 માર્ચે સાત કલાકની લાંબી ચર્ચા પછી ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026’ બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં તમામ ધર્મના લોકો માટે લગ્ન, છૂટાછેડા, વારસા અને લિવ-ઇન સંબંધો અંગે એકસમાન કાયદા માળખુ બનાવવાની દરખાસ્ત છે. નવા બિલની જોગવાઈ મુજબ લિવ-ઇન સંબંધોનું તથા તેમાં અલગ થવા અંગેનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
આ બિલમાં બળજબરી અથવા છેતરપિંડી દ્વારા લગ્ન કરવામાં આવે તો 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે અને દ્વિપત્નીત્વ કે બહુપત્નીત્વ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. શાસક ભાજપે આ બિલને આવકાર્યું હતું અને તેને સમાનતા સુનિશ્ચિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ સુધારા તરીકે ગણાવ્યું હતું. કોંગ્રેસે તેનો ઉગ્ર વિરોધ કરતા કહ્યું કે તે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે અને મુસ્લિમ વિરોધી છે.
યુસીસી બિલ પાસ કરનાર ઉત્તરખંડ પછી ગુજરાત દેશનું બીજુ રાજ્ય બન્યું હતું. ઉત્તરાખંડે ફેબ્રુઆરી 2024માં આ બિલ પાસ કર્યું હતું. રાજ્ય સરકારે આ બિલ રજૂ કરે તે પહેલા મુસ્લિમો અમદાવાદમાં આ બિલનો વિરોધ કર્યો હતો.
બિલ રજૂ કરતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે. મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ અપાઈ છે.મુખ્યપ્રધાને ગૃહમાં બિલ રજૂ કરતા જ સત્તા પક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ બિલ ઉતાવળે રજૂ કરાયું હોવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્વ પણ ન રાખવામાં આવ્યું અને સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે. ધારાસભ્યોને અભ્યાસ માટે નિષ્ણાત સમિતિનો રીપોર્ટ આપ્યો ન હતો.
નવો કાયદો અનુસૂચિત જનજાતિના સભ્યો અને અમુક જૂથોને લાગુ પડશે નહીં, જેમના પરંપરાગત અધિકારો બંધારણ હેઠળ સુરક્ષિત છે. આ બિલનો ઉદ્દેશ્ય એક સમાન કાનૂની માળખું બનાવવાનો છે.
તેની મુખ્ય જોગવાઈઓમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ તથા લગ્ન માટે પુરુષો માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને સ્ત્રીઓ માટે 18 વર્ષની ઉંમરનો સમાવેશ થાય છે. તેમાં લગ્ન અને છૂટાછેડાના હુકમનામાની નોંધણી ફરજિયાત કરાઈ છે. જેનું પાલન ન કરવા બદલ દંડની જોગવાઈ છે, જોકે નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય થશે નહીં.
બિલમાં લિવ-ઇન સંબંધોની નોંધણી, આવા સંબંધોમાંથી જન્મેલા બાળકોની માન્યતા અને ભરણપોષણના અધિકારો, તેમજ આવી વ્યવસ્થાઓની નોંધણી અને સમાપ્તિ માટેની પ્રક્રિયાઓ માટેની જોગવાઈઓ પણ છે.
સૂચિત કાયદો સમગ્ર રાજ્યમાં લાગુ પડશે અને તેની પ્રાદેશિક મર્યાદાની બહાર રહેતા ગુજરાતના રહેવાસીઓને પણ લાગુ પડશે.
આ બિલમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનસાથી જીવિત હોય ત્યારે બીજા લગ્ન કરી શકશે નહીં. આ બિલ બાળક, જીવનસાથી, સંપત્તિ, વસિયતનામા અને લિવ-ઇન રિલેશનશિપ જેવા મુખ્ય શબ્દોને વ્યાખ્યાયિત કરે છે, અને લગ્નથી અથવા લગ્ન વગર જન્મેલા બાળકોને કાનૂની માન્યતા આપે છે. દત્તક લીધેલા બાળકોને પણ સમાન હક મળશે.













