
ગુજરાત સરકારે બુધવાર, 25 માર્ચે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંકટ હોવા છતાં રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી. સરકારે સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી કરવાના પ્રયાસો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. સરકારે આવી ખાતરી આપતી હોવા છતાં રાજ્યમાં અનેક જગ્યાએ પેટ્રો પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે અને ઘણા પેટ્રોલ પંપ બંધ રહ્યાં હતાં.
વિધાનસભામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ઇંધણ સ્ટેશનો પર તાજેતરમાં લાંબી કતારોનું કારણ ખરેખર કોઈ અછત નહીં, પરંતુ અફવાઓને કારણે ગભરાટની ખરીદીનું પરિણામ હતી. તેમણે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) અપનાવવા માટે ભાર મૂક્યો હતો.
પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠા અંગે ચિંતા વચ્ચે ભાજપના સભ્યો મહેશ કસવાલા, ચૈતન્ય દેસાઈ અને હર્ષદ પટેલે આ મુદ્દો ઉઠાવ્યા બાદ પટેલે ગૃહમાં આ નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને લઈને સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ કોઈ સમસ્યા નથી. પેટ્રોલ પંપો પર સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. જનતાએ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઇએ. માંગમાં મોટા ઉછાળા છતાં, રાજ્યમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર રહ્યો છે અને પેટ્રોલ પંપ 24X7 સરળતાથી કાર્યરત રહે છે, જે સાબિત કરે છે કે રાજ્યભરમાં વિપુલ પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે. દુરુપયોગ અટકાવવા માટે સરકારે ઇંધણ સ્ટેશનોને ફક્ત વાહનોની ટાંકીમાં જ પેટ્રોલ અને ડીઝલનો સીધો સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે. કોઇપણ પ્રકારના કન્ટેનરમાં વેચાણ પ્રતિબંધિત છે. જોકે 200 લિટર સુધી ખેડૂતો અને 1,000 લિટર સુધી મોબાઇલ ટાવરને કન્ટેનરમાં ઇંધણ મળશે.
અફવા ફેલાવવા બદલ રાજકોટમાં એક પેટ્રોલ પંપ સામે નોંધાયેલી એફઆઈઆરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે જે કોઈ પણ ઈંધણનો સંગ્રહ કરશે અથવા કૃત્રિમ અછત ઉભી કરશે તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરાશે.
સરકાર ગ્રાહકોને પાઇપ્ડ નેચલ ગેસ (પીએનજી) કનેક્શન લેવા પ્રોત્સાહન આપતી હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે સરકારે ‘પીએનજી વેલકમ બેનિફિટ ઓફર’ શરૂ કરી છે જે હેઠળ નવા ગ્રાહકોને 500 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં લગભગ 12,000 નવા PNG કનેક્શન નોંધાયા છે, અને લગભગ 7,500 કનેક્શન પહેલાથી જ પૂરા પાડવામાં આવ્યા છે. અમે ઘરો, હોટલ, હોસ્પિટલો, કેન્ટીન અને શૈક્ષણિક સંસ્થાઓ માટે કનેક્શનને પ્રાથમિકતા આપી રહ્યા છીએ











