ગુજરાતમાં ગુરુવાર, 26 માર્ચે રંગબેરંગી શોભા યાત્રાઓથી લઈને યુવા-સંચાલિત નવીન કાર્યક્રમો મારફત રામ નવમીની ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી. વિવિધ શહેરોમાં “જય શ્રી રામ”ના નારા સાથે શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. અયોધ્યામાં 27 માર્ચ, શુક્રવારના રોજ રામ નવમી ઉજવવામાં આવશે, કારણ કે તે દિવસે નવમી તિથિ સૂર્યોદય સાથે આવે છે.
અમદાવાદના ઇસ્કોન મંદિરે સવારે ‘શ્રી રામ દરબાર અભિષેક’ અને પરંપરાગત ’56 ભોગ’નો પ્રસાદ ધરાવતો ભવ્ય ઉત્સવ યોજ્યો હતો.મંદિરમાં સાંજે પાલખી શોભાયાત્રા અને રામ કથાનું પણ આયોજન કરાયું હતું. ગુજરાતમાં યુવાનોએ ઉજવણી માટે નવીન રીતો અપનાવી હતી. અડાલજમાં, સાંજે ભજન જામિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાંએક લાઇવ ફ્યુઝન બેન્ડ પરંપરાગત ભક્તિ સંગીતને સમકાલીન સંગીત સાથે મિશ્રિત કરશે. સુરતમાં બાઇકર્સના એક જૂથે અનોખી ઉજવણી કરી હતી. લગભગ 90 સવારોએ ડાભારી બીચ પર મુસાફરી કરી હતી. 65 મોટરબાઈક કાળજીપૂર્વક ગોઠવવામાં આવી હતી જેથી ‘રામ’ લખાય.
રાજકોટમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. આ મહોત્સવનો પ્રારંભ નાણાવટી ચોક ખાતેથી ભક્તિમય માહોલમાં કરાયો હતો. જ્યાં શોભાયાત્રા પૂર્વે એક વિશેષ ધર્મસભાનું પણ આયોજન થયું હતું. આ ધર્મસભા બાદ પ્રભુ રામલલાની શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ભ્રમણ કરવા નીકળી હતી, જેમાં વિવિધ ધાર્મિક થીમ પર આધારિત આકર્ષક ફ્લોટ્સ (ટેબ્લો) લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.












