અમેરિકાએ જણાવ્યું છે કે, સાઉથ એશિયામાં શાંતિ નિશ્ચિત કરવા ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચર્ચાને હંમેશા સમર્થન આપે છે. પાકિસ્તાની પત્રકારે વડાપ્રધાન શહબાઝ શરીફની ભારત સાથેની ચર્ચા અંગેની તાજેતરની ટિપ્પણી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે, “અમેરિકા સાઉથ એશિયામાં સ્થિરતા ઇચ્છે છે, પણ ભારત અને પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે બંને દેશે વિચારવાનું રહેશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે સાઉથ એશિયામાં લાંબા સમયથી પ્રાદેશિક સ્થિરતાના હિમાયતી રહ્યા છીએ.

અમે તેમાં પ્રગતિ જોવા ઇચ્છીએ છીએ. જોકે, ભારત અને પાકિસ્તાન સાથે અમારી ભાગીદારીની વાત છે ત્યાં સુધી આ સંબંધો આપબળે ઊભા છે.” તેમણે કહ્યું હતું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ચર્ચાનો નિર્ણય બંને દેશોએ લેવાનો છે.” તાજેતરમાં યુએઇ મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે ભારત સાથે ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, થોડા સમય પછી તેમના કાર્યાલયે ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે, ભારત કાશ્મીર અંગેના 2019ના પગલાને પાછું ખેંચશે પછી જ તેની સાથે ચર્ચા શક્ય બનશે.

શરીફની ટિપ્પણી અંગે ભારતે જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન સાથે હંમેશા સામાન્ય સંબંધો ઇચ્છીએ છીએ, પણ આવા સંબંધો માટે આતંકવાદ અને હિંસામુક્ત માહોલ જરૂરી છે. આવો માહોલ ઊભો કરવાની જવાબદારી ઇસ્લામાબાદની છે.” ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટ ખાતે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પો પર ફાઇટર જેટ્સથી હુમલો કર્યો હતો. ત્યારથી બંને દેશના સંબંધોમાં તણાવ વધ્યો હતો. વધુમાં ભારતે ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા પછી પાકિસ્તાન સાથેના સંબંધો વધુ ખરાબ થયા હતા.

LEAVE A REPLY

eleven − seven =